28 July, 2020 10:53 AM IST | Mumbai Desk | Gujarati Mid-Day Online Correspondent
અમિતાભ બચ્ચન (ફાઇલ ફોટો)
અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)ની પુત્રવધૂ અને અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન(Aishwarya Rai Bachchan)અને તેમની દીકરી આરાધ્યા બચ્ચન(Aaradhya Bachchan)કોરોનાને માત આપીને પોતાના ઘરે જલસા પહોંચી છે. આની માહિતી ઐશ્વર્યાના પતિ અભિનેતા અભિષેક બચ્ચને(Abhishek Bachchan) ટ્વીટ કરીને આપી હતી. તો, ઐશ્વર્યા અને આરાધ્યાના ડિસ્ચાર્જ થયા પછી બિગ બી ખૂબ જ ખુશ અને ભાવુક થઈ ગયા છે.
અમિતાભ બચ્ચને ટ્વીટ કરીને લખ્યું છે કે, "નાની દીકરી અને પુત્રવધૂને હૉસ્પિટલમાંથી મુક્તિ મળવાથી હું આસું અટકાવી ન શક્યો, પ્રભુ તારી કૃપા અપાર, અપરંપાર." જણાવવાનું કે હાલ અમિતાભ બચ્ચન અને દીકરો અભિષેક બચ્ચન હજી પણ હૉસ્પિટલમાં પોતાની સારવાર કરાવી રહ્યા છે.
આ પહેલા અભિષેક બચ્ચને પોતે ટ્વીટ કરીને કહ્યું હતું કે, "તમે સતત કરેલી પ્રાર્થનાઓ અને શુભેચ્છાઓ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ઐશ્વર્યા અને આરાધ્યાના કોરોના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે અને તેમને હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપી દેવામાં આવ્યું છે. તેઓ હવે ઘરે જ રહેશે. હું અને મારા પિતા મેડિકલ સ્ટાફની દેખરેખમાં હૉસ્પિટલમાં છીએ."
તો અમિતાભ બચ્ચન પોતાની પોસ્ટ દ્વારા ચાહકો સાથે જોડાયેલા છે. અને તેઓ સતત નાણાવટી હૉસ્પિટલમાંથી પોતાની પોસ્ટ શૅર કરી રહ્યા છે. તાજેતરમાં જ અમિતાભ બચ્ચને પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શૅર કર્યો હતો. વીડિયોના બૅકગ્રાઉન્ડમાં બિગ બી પિતા હરિવંશ રાય બચ્ચનની કવિતા કહેતા જોવા મળે છે. આ વીડિયોના કૅપ્શનમાં તેમણે લખ્યું કે, "પિતાજીની કવિતાની અમુક ક્ષણો. હૉસ્પિટલની એકલતામાં તેમની ખૂબ જ યાદ આવે છે અને તેમના જ શબ્દોથી મારી રાત વિતાવું છું."
આ પણ વાંચો : ઐશ્વર્યા અને આરાધ્યા થયાં કોરોના નેગેટિવ, હૉસ્પિટલમાંથી પહોંચ્યા ઘરે
આ પહેલા મહાનાયક અમિતાભ બચ્ચને પોતાના બંગલા 'જલસા'ની બહારની તસવીરો શૅર કરી હતી. આ તસવીરોમાં મહાનાયક પોતાના પ્રશંસકોનું અભિવાદન કરી રહ્યા છે. હકીકતે દર રવિવારે અમિતાભ બંગલાની બહાર નીકળતા અને ચાહકોનું અભિવાદન સ્વીકાર કરતા હતા. પણ જલસાની બહાર સન્નાટો છે. તેમમે આનો ઉલ્લેખ કર્યો છે. તેમણે પોસ્ટ શૅર કરીને લખ્યું હતું, 'તમારા હાથ જે તમે પ્રેમ અને સમર્થનમાં ઉઠાવો છો તે મારી તાકાત છે. આ હું મારી અંદરથી ક્યારેય ઓછું થવા નહીં દઉં. આ માટે ભગવાન મારી મદદ કરે.'