‘પૃથ્વીરાજ’ને સ્કૂલમાં દેખાડવા માટે સરકારને વિનંતી કરી અક્ષયકુમારે

10 May, 2022 03:12 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ટ્રેલર-લૉન્ચ ઇવેન્ટમાં મમ્મીને લઈને તે ઇમોશનલ પણ થઈ ગયો હતો

સમીર માર્કન્ડે

અક્ષયકુમારે જણાવ્યું છે કે દરેક પેરન્ટે પોતાનાં બાળકોને ‘પૃથ્વીરાજ’ની સ્ટોરી દેખાડવી જોઈએ. આ ફિલ્મ ૩ જૂને રિલીઝ થવાની છે. અક્ષયકુમારે સાથે જ સરકારને પણ વિનંતી કરી છે કે સ્કૂલમાં પણ આ ફિલ્મ બાળકોને દેખાડવામાં આવે જેથી ઇતિહાસના આ મહાન વીર પુરુષ વિશે સૌને માહિતી મળી શકે. એ વિશે અક્ષયકુમારે કહ્યું કે ‘મારી ઇચ્છા છે કે માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વનાં તમામ બાળકોને આ ફિલ્મ દેખાડવી જોઈએ. આ એક એજ્યુકેશનલ ફિલ્મ છે. સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણની સ્ટોરી તમારાં બાળકોને દેખાડવી જોઈએ. આ ફિલ્મમાં કામ કરીને હું ગર્વ અનુભવી રહ્યો છું. આજે જો મારી મમ્મી જીવિત હોત તો તેને પણ ખૂબ ગર્વ થયો હોત. હું સરકારને પણ વિનંતી કરું છું કે તેઓ આ ફિલ્મ ફરજિયાત દેખાડે જેથી બાળકોને આપણા જાજરમાન ઇતિહાસ વિશે ક્યારે શું બન્યું હતું એની માહિતી મળી શકે. ફિલ્મમાં તમે જે કંઈ પણ જોશો એ સત્ય જ છે. એ ઘટના ખરેખર ઘટી હતી, પરંતુ આપણને જાણ નહોતી. મને આ સ્ટોરી ખૂબ વિસ્મયકારી લાગી હતી. ડૉક્ટર સાહેબે ૧૮ વર્ષ સુધી રિસર્ચ કર્યું હતું. આ પ્રકારે તેમણે આ ફિલ્મ માટે સખત મહેનત કરી હતી.’

કઈ વાતનું માઠું લાગી આવ્યું છે અક્ષયકુમારને?

ઇતિહાસ પર આધારિત યશરાજ ફિલ્મ્સની ‘પૃથ્વીરાજ’ની ટ્રેલર લૉન્ચ ઇવેન્ટમાં અક્ષયકુમારે જણાવ્યું કે આજે ઇતિહાસની બુકમાં આ મહાન સમ્રાટ વિશે માત્ર એક ફકરો જ લખાયેલો છે. એથી તેને ખૂબ દુ:ખ થયું છે. આ ફિલ્મમાં તે પૃથ્વીરાજ બન્યો છે અને માનુષી છિલ્લર સંયોગિતાના રોલમાં છે. ફિલ્મ વિશે અક્ષયકુમારે કહ્યું કે ‘હું ૩૦ વર્ષથી ઇન્ડસ્ટ્રીમાં કામ કરું છું. ૩ દાયકાની મારી કરીઅરમાં આટલી મોટા પાયે ઇતિહાસ પર આધારિત ફિલ્મ મેં કદી નથી જોઈ. આ મહાન લડવૈયાનું પાત્ર ભજવીને હું પોતાને સંપૂર્ણ માની રહ્યો છું. હું મારા ડિરેક્ટર ડૉક્ટર ચન્દ્રપ્રકાશ દ્વિવેદી અને પ્રોડ્યુસર આદિત્ય ચોપડાનો આભાર માનું છું. અમે જ્યારે આ ફિલ્મની જર્નીની શરૂઆત કરવાના હતા ત્યારે ડિરેક્ટરે મને પૃથ્વીરાજ ચૌહાણના જીવન પર આધારિત એક બુક આપી હતી. એ બુક વાંચ્યા પછી મને એહસાસ થયો કે પૃથ્વીરાજ ચોહાણ કેટલા મહાન યોદ્ધા હતા. મને એ વાતનું દુ:ખ લાગે છે કે આજે ઇતિહાસની બુકમાં પૃથ્વીરાજ ચૌહાણની બહાદુરી વિશે માત્ર એક ફકરો જ લખાયેલો છે.’

bollywood news bollywood bollywood gossips entertainment news akshay kumar prithviraj chavan