24 November, 2022 08:52 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફાઇલ તસવીર
અભિનેત્રી રિચા ચઢ્ઢા (Richa Chaddha) આ દિવસોમાં એક ટ્વીટને લઈને વિવાદમાં છે. ઉત્તરી સેનાના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ તાજેતરમાં એક ટ્વીટમાં કહ્યું હતું કે “ભારતીય સેના પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)નો હિસ્સો પાછો લેવા માટે તૈયાર છે. માત્ર સરકારના આદેશની રાહ જોઈ રહી છે, જેના જવાબમાં રિચા ચઢ્ઢાએ લખ્યું હતું, ‘ગલવાન હાય કહી રહ્યું` છે. આ કહ્યા બાદ રિચા વિવાદોમાં સપડાઈ હતી. હવે તેના આ ટ્વીટ પર અક્ષય કુમારની પ્રતિક્રિયા આવી છે.
જોઈને દુઃખ થયું: અક્ષય કુમાર
અક્ષય કુમારે રિચા ચઢ્ઢાના ટ્વીટનો સ્ક્રીનશોટ શેર કરીને ટ્વિટર પર એક પોસ્ટ કરી છે. આ ટ્વીટમાં અક્ષયે લખ્યું કે, “આ જોઈને દુઃખ થયું. આપણે આપણા સશસ્ત્ર દળો પ્રત્યેનો ઉપકાર ક્યારેય ન ભૂલવો જોઈએ. જો તેઓ છે તો આપણે આજે છીએ.”
આ ટ્વીટ પછી રિચા સતત વિવાદોમાં ચાલી રહી છે. તેને સોશિયલ મીડિયા પર ટ્રોલનો સામનો કરવો પડ્યો છે. લોકો તેમના પર સેનાનું અપમાન કરવાનો આરોપ લગાવી રહ્યા છે.
અક્ષય કુમાર પહેલાં બોલિવૂડ ફિલ્મમેકર અશોક પંડિતે પણ રિચા ચઢ્ઢા સામે લાલ આંખ કરી છે. તેણે મુંબઈની જુહુ પોલીસને પત્ર લખીને સુરક્ષા દળોની મજાક ઉડાવવા અને અપમાન કરવા બદલ રિચા વિરુદ્ધ એફઆઈઆર નોંધવાની માગ કરી છે.
નોંધપાત્ર વાત એ છે કે, વધતા જતા વિવાદોને જોઈને રિચાએ એક ટ્વીટમાં માફી પણ માગી છે. તેણે કહ્યું કે તેનો ઈરાદો કોઈનું અપમાન કરવાનો નહોતો.
આ પણ વાંચો: Richa Chadha પર સેનાનું અપમાન કરવાનો આક્ષેપ, જાણો શું છે મામલો