25 January, 2022 02:01 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અજિતની ‘વિસ્વાસમ’ને ઠુકરાવી અજય અને અક્ષયે
અજય દેવગન અને અક્ષયકુમારે સાઉથના ઍક્ટર અજિતની ૨૦૧૯માં આવેલી ‘વિસ્વાસમ’ની હિન્દી રીમેકને ઠુકરાવી દીધી હોવાની ચર્ચા છે. સાઉથના પ્રોડ્યુસર મનીષ શાહ વર્ષોથી સાઉથની ફિલ્મને ટીવી અને યુટ્યુબ ચૅનલ પર હિન્દીમાં ડબ કરીને રિલીઝ કરી રહ્યો છે. તે એમાં સફળ પણ થયો છે. જોકે હવે સાઉથની ઘણી ફિલ્મો હિન્દીમાં ખૂબ જ સારો બિઝનેસ કરી રહી હોવાથી મનીષ શાહ હવે હિન્દી ફિલ્મને પણ પ્રોડ્યુસ કરવા માગે છે. આથી તેણે અજિતની ફિલ્મના હિન્દી રીમેક રાઇટ્સ ખરીદી લીધા હતા. તેણે આ રાઇટ્સ ચાર કરોડમાં ખરીદ્યા હોવાની ચર્ચા છે. મનીષે આ માટે અજય દેવગનનો સંપર્ક કર્યો હતો. જોકે તેણે ફિલ્મ ઠુકરાવી દીધી હોવાની ચર્ચા છે. ત્યાર બાદ તેણે અક્ષયકુમારનો સંપર્ક કર્યો હતો પરંતુ આ ફિલ્મ હિન્દી ઑડિયન્સ પસંદ નહીં કરે એ કારણ જણાવી તેણે પણ ફિલ્મ છોડી હોવાની ચર્ચા છે. આ માટે બાલાજી ટેલિફિલ્મ્સનો પણ પ્રોડ્યુસર તરીકે સંપર્ક કરવામાં આવ્યો હતો. જોકે કોઈ મોટા ઍક્ટર્સ ફિલ્મને પસંદ ન કરી રહ્યા હોવાથી તેમણે પણ ના પાડી હોવાની ચર્ચા છે.