14 May, 2021 01:03 PM IST | Mumbai | Harsh Desai
આદિત્ય ચોપડા
આદિત્ય ચોપડાએ તેના હોમ પ્રોડક્શન યશરાજ ફિલ્મ્સના પચાસ વર્ષના સેલિબ્રેશન માટે જે બજેટ ફાળવ્યું હતું એ હવે કોવિડ માટે દાન કરવાનું નક્કી કર્યું છે. ૨૦૨૦માં પચાસ વર્ષ પૂરાં થતાં એને ધામધૂમથી સેલિબ્રેટ કરવાનું નક્કી કર્યું હતું અને એ દરમ્યાન ઘણી ફિલ્મોને પણ જાહેર કરવાનું નક્કી કર્યું હતું. જોકે કોરોનાના બીજા ફેઝમાં ફરી બૉલીવુડ શટડાઉન થઈ ગયું છે અને પહેલાં કરતાં વધુ કેસ આવી રહ્યા છે. આથી આદિત્ય ચોપડાએ નક્કી કર્યું છે કે આ પૈસાને તેઓ કોવિડથી અસરગ્રસ્ત થયેલા લોકોને મદદ કરશે. તેમણે ઇન્ડસ્ટ્રીના કર્માચારીઓ અને દરરોજ કામ કરીને કમાણી કરનાર લોકો માટે મદદનો હાથ લંબાવ્યો છે.
અંધેરીમાં આવેલા તેમના સ્ટુડિયોમાં તેમણે કિચનની શરૂઆત કરી છે. આ કિચનમાંથી તેઓ ગોરેગામમાં આવેલા ફ્રન્ટલાઇન વર્કર્સ અને અંધેરી ક્વૉરન્ટીન સેન્ટરમાં ખાવાનું પહોંચાડે છે. આ સાથે જ તેમણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરનાર સિનિયર સિટિઝન અને મહિલાઓને પાંચ હજાર રૂપિયા આપવાનું નક્કી કર્યું છે. આ સાથે જ તેમણે ઉદ્ધવ ઠાકરે પાસે ૬૦ હજાર વૅક્સિન ખરીદવાની પણ ઇચ્છા વ્યક્ત કરી છે.