29 June, 2026 09:11 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રાજ કુન્દ્રા શિલ્પા શેટ્ટી
પૉર્નોગ્રાફી કેસ સાથે જોડાયેલી કાનૂની કાર્યવાહી શરૂ થયાને હવે પાંચ વર્ષ થઈ ગયા છે, પરંતુ રાજ કુન્દ્રાને હજી સુધી ન્યાય મળ્યો નથી. અભિનેતા અને ઉદ્યોગપતિ રાજ કુન્દ્રાએ તાજેતરમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ શૅર કરીને ન્યાય મળવામાં થઈ રહેલા વિલંબ અંગે પોતાની નિરાશા વ્યક્ત કરી છે. તેણે કહ્યું કે દર વખતે તેનો કેસ અંતિમ સુનાવણી અથવા ચુકાદા માટે અનામત રાખવાની સ્થિતિ સુધી પહોંચે છે. ત્યારે સંબંધિત જજની બદલી થઈ જાય છે અથવા જજને પ્રમોશન મળી જાય છે. તેના કારણે આખી સુનાવણીની પ્રક્રિયા નવા જજ સમક્ષ ફરીથી શરૂ કરવી પડે છે.
રાજ કુન્દ્રાએ પોતાની પોસ્ટમાં લખ્યું, "પાંચ વર્ષ થઈ ગયા, છતાં આજે પણ હું ન્યાયની રાહ જોઈ રહ્યો છું. દર વખતે મારો કેસ અંતિમ સુનાવણી અથવા ચુકાદા માટે અનામત રાખવાની સ્થિતિ સુધી પહોંચે છે. ત્યારે જજની બદલી થઈ જાય છે અથવા તેમને પ્રમોશન મળે છે. તેના કારણે આખો કેસ નવા જજ સમક્ષ ફરીથી શરૂ કરવો પડે છે. આ રીતે દર વખતે આખી પ્રક્રિયા ફરીથી શરૂ થાય છે, ખર્ચ સતત વધતો જાય છે અને કિંમતી સમય પણ વેડફાય છે." રાજ કુન્દ્રાએ સામાન્ય લોકોની મુશ્કેલીઓનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે લખ્યું, "જો મારા માટે આ પ્રક્રિયા આટલી મુશ્કેલ અને થકવી નાખે એવી છે, તો વિચારો કે સામાન્ય લોકો પર શું પસાર થતી હશે. ઘણા લોકો પાસે વર્ષો સુધી કોર્ટમાં લડત ચાલુ રાખવા માટે પૂરતા પૈસા કે અન્ય સાધનો પણ નથી. ન્યાયમાં થતો વિલંબ હવે માત્ર કાનૂની સમસ્યા નથી રહ્યો, પરંતુ તે એક માનવીય સમસ્યા બની ગયો છે." જોકે, આ તમામ પરિસ્થિતિઓ છતાં રાજ કુન્દ્રાએ ભારતીય ન્યાય વ્યવસ્થા પર પોતાનો વિશ્વાસ જાળવી રાખ્યો છે. તેમણે કહ્યું કે તેને કાયદા અને ન્યાય પ્રણાલી પર સંપૂર્ણ વિશ્વાસ છે. પરંતુ એવી વ્યવસ્થા હોવી જોઈએ કે જજની બદલી કે બઢતી થયા પછી વર્ષોથી ચાલતા કેસની સુનાવણી ફરીથી શરૂઆતથી ન કરવી પડે. તેના મતે, આ માટે યોગ્ય ઉકેલ લાવવાની જરૂર છે જેથી લોકોને સમયસર ન્યાય મળી શકે. રાજ કુન્દ્રાએ પોતાની પોસ્ટનો અંત એક ભાવુક સંદેશ સાથે કર્યો. તેણે લખ્યું, "ન્યાય એ વાત પર નિર્ભર ન હોવો જોઈએ કે તમને કેટલી વખત ફરીથી શરૂઆત કરવા માટે મજબૂર થવું પડે. પોસ્ટના અંતમાં તેમણે `Sabr` અને `Waheguru` પણ લખ્યું.
આ પહેલાં રાજ કુન્દ્રાએ પણ સોશિયલ મીડિયા પર માહિતી આપી હતી કે તેના વકીલ પ્રશાંત પાટીલની આગેવાનીમાં પૉર્નોગ્રાફી કેમાં તેમની તરફથી તમામ દલીલો પૂર્ણ થઈ ગઈ છે. નોંધનીય છે કે વર્ષ 2021માં રાજ કુન્દ્રા પર મોબાઇલ ઍપ્લિકેશન દ્વારા અશ્લીલ કન્ટેન્ટ રજૂ કરવાનો આરોપ લાગ્યો હતો. આ કેસમાં તેની ધરપકડ કરવામાં આવી હતી અને તેને 63 દિવસ સુધી મુંબઈની આર્થર રોડ જેલમાં રાખવામાં આવ્યો હતો. રાજ કુન્દ્રાએ સતત કહ્યું આવ્યા છે કે તેણે કોઈ ગુનો કર્યો નથી. તેનું કહેવું છે કે અત્યાર સુધી કોર્ટમાં તેની સામે કોઈ આરોપ સાબિત થયો નથી. બાદમાં તેને જામીન મળી ગયા હતા, પરંતુ આ કેસ હજી પણ કોર્ટમાં ચાલી રહ્યો છે. આ પહેલાં પણ રાજ કુન્દ્રાએ કેટલીક મીડિયા રિપોર્ટ્સ પર નારાજગી વ્યક્ત કરી હતી. આ રિપોર્ટ્સમાં તેની પત્ની શિલ્પા શેટ્ટીનું નામ પણ તેના કેસ સાથે જોડવામાં આવ્યું હતું. રાજ કુન્દ્રાએ કહ્યું હતું કે આવું કરવું યોગ્ય નથી. તેણે કહ્યું કે તેનો પરિવાર હંમેશાં તેની સાથે ઉભો રહ્યો છે. તેણે એવી પણ અપીલ કરી હતી કે લોકોનું ધ્યાન માત્ર કોર્ટના નિર્ણય અને કાનૂની પ્રક્રિયા પર જ હોવું જોઈએ. બિનઆધારિત અટકળો અને અફવાઓને મહત્તવ ન આપવું જોઈએ.