18 April, 2019 09:03 PM IST | અમદાવાદ
વેકેશન દરમિયાન સૌથી વધુ ચર્ચા એ વાતની હોય છે કે બાળકને એડમિશન ક્યાં અપાવવું અને બીજો સવાલ એ કે કયા માધ્યમમાં અપાવવું ? આજના જમાનામાં અંગ્રેજી માધ્યમની શાળાઓ વધી રહી છે. બાળકોને પણ અંગ્રેજી માધ્યમમાં પ્રવેશ અપાવવાનો ક્રેઝ વધી રહ્યો છે. ઘરમાં ભલે કોઈને અંગ્રેજી ન આવડે, ન બોલે પણ બાળકને અંગ્રેજી મીડિયમમાં જ ભણાવવાનું, પછી ભલે બાવાના બેય બગડે.
આ જ વાત પર અમદાવાદમાં ભજવાઈ રહ્યું છે નાટક 'ગુજરાતીમાં કેટલા ?' નાટકમાં એક મિડલ ક્લાસ અમદાવાદી પરિવારના એક એવા વ્યક્તિની વાત છે, જેણે અંગ્રેજી અને હિન્દીમાંથી એક ભાષા પસંદ કરવાની છે અને તે ગુજરાતી પસંદ કરે છે. ગુજરાતી હોવાના ગર્વ સાથે જીવતા અને ભાષા પ્રત્યેના પ્રેમને માણતા તેના જીવનમાં ભાષાને લઈ જે સંઘર્ષ સર્જાય છે તેની વાત એટલે નાટક 'ગુજરાતીમાં કેટલા ?'
આ નાટકને આદિત્ય ત્રિવેદીએ ડિરેક્ટ કર્યું છે. અનેસ્ક્રીપ્ટ પણ તેમણે જ લખી છે. રસપ્રદ વાત એ છે કે આ નાટકમાં લવની ભવાઈ ફેમ એક્ટર દીપ પટેલ લીડ રોલમાં છે. દીપ પટેલ મલ્હાર ઠાકર અને આરોહી પટેલની હિટ ફિલ્મ લવની ભવાઈમાં દેખાયા હતા. ઈન્ડિ પ્રોડક્શનનું આ નાટક શનિવારે અમદાવાદના પાલડી સ્થિત સ્ક્રેપયાર્ડમાં ભજવાશે.