સરકાર નોટબંધી કરવા કરતાં કાળાબજારિયાઓ સામે શા માટે પગલાં નથી ભરતી?

02 June, 2023 04:52 PM IST  |  Mumbai | Bhavini Lodaya

હવેથી ૨૦૦૦ની નોટો છાપવામાં નહીં આવે અને બજારમાં જેટલી પણ નોટો છે એ પાછી માગી એની જગ્યાએ ૫૦૦ અને ૧૦૦ રૂપિયાની નોટો આપવામાં આવશે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

૨૦૦૦ રૂપિયાની નોટો સપ્ટેમ્બરથી વાપરવાની બંધ કરવામાં આવશે એ ન્યુઝ હાલમાં ચર્ચામાં છે. જ્યારે ૨૦૧૭માં નોટબંધી થઈ હતી ત્યારે નોટોની અછત ન થાય એ કારણસર ૨૦૦૦ રૂપિયાની નોટો છાપવામાં આવી હતી, પણ હવે ૨૦૦૦ની નોટોનું ડીમૉનિટાઇઝેશન થઈ રહ્યું છે. હવેથી ૨૦૦૦ની નોટો છાપવામાં નહીં આવે અને બજારમાં જેટલી પણ નોટો છે એ પાછી માગી એની જગ્યાએ ૫૦૦ અને ૧૦૦ રૂપિયાની નોટો આપવામાં આવશે. જોકે અવારનવાર સરકાર દ્વારા લેવાતા આવા નિર્ણયો એ ખરેખર લોકોમાં માનસિક અફરાતફરી કરી નાખે છે અને એને કારણે દેશમાં રોકાણનું પ્રમાણ ઘટી જાય છે, જનતાએ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આપણે સરકારના નિર્ણયને માનીએ છીએ, પરંતુ મને લાગે છે કે જે કાંઈ પણ નિર્ણય લેવામાં આવે એ કાયમી ધોરણે લેવામાં આવે. ટેમ્પરરી સોલ્યુશન એ ફરી લોકોને એક નવી મુસીબતમાં નાખી દે છે. આ નિર્ણયને લીધે જેની પાસે ૨૦૦૦ની નોટો છે એવા સામાન્ય વ્યક્તિ અથવા નાનો બિઝનેસ કરનાર વેપારીઓ જે ઈમાનદારીથી કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે તેમ જ સિનિયર સિટિઝને બૅન્કોમાં જઈ ફરી લાઇનમાં ઊભા રહી તેમના પ્રોટોકૉલ પ્રમાણે નોટો બદલવા જવું પડશે એ તેમને માટે તકલીફજનક થઈ શકે છે. લાઇનમાં ધક્કામુક્કી તેમ જ સાથે જૉબ કરનાર અને નાના બિઝનેસ કરનારે પોતાનું કામ ખોટી કરી કલાકો સુધી બૅન્કની લાઇનમાં ઊભા રહેવું પડશે, આ ખરેખર યોગ્ય નથી. સરકારના દરેક નાનામોટા બદલાવમાં સૌથી વધારે મધ્યમવર્ગીય વ્યક્તિઓને સફર કરવું પડતું હોય છે. હાલમાં પણ આપણા દેશમાં એવાં અનેક ઘર છે જેમનાં બૅન્કમાં અકાઉન્ટ નથી. બધું ભલે ડિજિટલ થઈ ગયું છે, પણ જેમની પાસે સ્માર્ટફોન નથી અને જેમનાં બૅન્કમાં ખાતાં નથી એવા લોકો માટે આવી બાબત ત્રાસદાયક બની રહે છે અને ભારત દેશમાં હજી પણ ગરીબીનું પ્રમાણ ખૂબ જ વધારે છે. એને કારણે લોકોને અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે.

જો સરકાર અને રિઝર્વ બૅન્કે ૨૦૦૦ રૂપિયાની નોટમાં થતી કાળાબજારી રોકવી જ હોય તો કાળાબજારી કરતા લોકોને પકડવા તરફ ધ્યાન આપવું જોઈએ. સરકાર નોટબંધી કરવા કરતાં કાળાબજારિયાઓ સામે શા માટે પગલાં નથી ભરતી? સરકાર આ નોટોના ડીમૉનિટાઇઝેશન પાછળ સમય બગાડે એના કરતાં યુવાનો માટે નવી રોજગારીની તક વધારવાનું કેમ નથી વિચારતી, જેથી યુવાનોને નવી નોકરી મળે અને આપણા દેશની અર્થવ્યવસ્થા સુધરે. કેમ કે ‘પઢેગા ઇન્ડિયા તો બઢેગા ઇન્ડિયા’ નહીં, પણ ‘યુવક કમાયેગા તો બઢેગા ઇન્ડિયા...’ શિક્ષણ તો સૌકોઈ મેળવી રહ્યું છે, પણ એ શિક્ષણ સામે નોકરીઓ જ સરકારે ઊભી નથી કરી.

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

columnists demonetisation