આરસીઇપીમાં ન જોડાવાનો નિર્ણય મોદી સરકાર ભીંસમાં હોવાનો સંકેત આપે છે

11 November, 2019 04:35 PM IST  |  Mumbai | Jitendra Sanghavi

આરસીઇપીમાં ન જોડાવાનો નિર્ણય મોદી સરકાર ભીંસમાં હોવાનો સંકેત આપે છે

File Photo

ભારતે આખરે રીજનલ કૉમ્પ્રિહૅન્સિવ ઇકૉનૉમિક પાર્ટનરશિપ (આરસીઈપી)ના ૧૫ દેશોના સમૂહમાં હાલ પૂરતું નહીં જોડાવાનો નિર્ણય કર્યો છે. આ દેશોએ બહાર પાડેલા એક સંયુક્ત નિવેદન પ્રમાણે આવતા વર્ષે વિયેટનામમાં આ વેપાર કરારને આખરી સ્વરૂપ આપવામાં આવશે. ચીનની આગેવાની હેઠળના આ ૧૫ દેશોમાં ૧૦ આશિઅાન (અસોસિએશન ઑફ સાઉથ ઈસ્ટ એશિયન નેશન્સ) દેશો (બ્રુનેઇ, કમ્બોડિયા, ઇન્ડોનેશિયા, લાઓસ, મલેશિયા, મ્યાનમાર, ફિલિપીન્સ, સિંગાપોર, થાઇલૅન્ડ અને વિયેટનામ) ઉપરાંત ચીન, જપાન, દક્ષિણ કોરિયા, ઑસ્ટ્રેલિયા અને ન્યુ ઝીલૅન્ડનો સમાવેશ છે.


આ વેપાર કરારના દસ્તાવેજ પર સહીકરારો એટલે વિશ્વની ૫૦ ટકા વસ્તી ૪૦ ટકા વેપાર અને ૩૫ ટકા જીડીપી સાથે તે વિશ્વનો સૌથી મોટો ફ્રી ટ્રેડ એરિયા (મુક્ત વેપાર વિસ્તાર) બનશે એમ છતાં ભારતે તેમાં નહીં જોડાવાનું નક્કી કર્યું છે. તેનું કારણ શું? વેપાર, સેવા અને મૂડીરોકાણને લગતા ઘણા બધા મુદ્દાઓ અંગે સમજૂતી સધાઈ નથી. વેપાર કરારના ભાગ રૂપે આ ગ્રુપના એકબીજા દેશો દ્વારા આયાત કરાતી ચીજવસ્તુઓ પરની ડ્યુટી ઘટાડવામાં આવે એટલે સસ્તી વિદેશી ચીજવસ્તુઓની આયાતોના સંભવિત ઘસારાને પહોંચી વળવા માટેની સલામતીના પગલાના અભાવે ભારતની વિદેશવેપારની ખાધ પર અંકુશ રાખવાનું મુશ્કેલ બની જાય એ ચિંતાને કારણે ભારત આ દેશોના સમૂહ દ્વારા ઊભી કરાતી આઇસીઇપીની વ્યવસ્થામાં જોડાવા માટે રાજી નથી.

આ કરાર હેઠળ આયાત નિકાસ પરની ડ્યુટી ઓછી કરાય છે. અરસપરસ ગ્રુપના બધા દેશો દ્વારા બજારના અવરોધો (જેમાં નિકાસોને પણ ઉત્તેજન મળે જ તેમ છતાં ભારતને આવી વેપાર વ્યવસ્થામાં નેટ પોતાનું નુકસાન દેખાય છે. તેનું એક કારણ એ છે કે છેલ્લા દસકામાં ભારતની નિકાસોનો દેખાવ નબળો રહ્યો છે, કારણ કે નિકાસ માટે વિશ્વના બજારમાં આવતી ગળાકાપ હરીફાઇમાં ઊભા રહી શકાય એવી હરીફશક્તિ કે ક્ષમતા ભારતના નિકાસકારોની છે નહીં. ભારતે તેને અત્યાર સુધી કરેલ વિદેશવેપારના ૧૩ જેટલા કરારોને કારણે તેને ફાયદો કરતાં નુકસાન વધુ થયું છે. બીજા શબ્દોમાં આવા વેપારકરારને કારણે ભારતની નિકાસો કરતાં આયાત વધુ પ્રમાણમાં વધી છે. પરિણામ ભારતની વિદેશ વેપારની ખાધ પણ વધી છે.

ભારતે લક્ષ્યાંક પ્રમાણેનો આર્થિક વિકાસ સાધવો હશે અને ૨૦૨૪-૨૫ સુધીના અર્થતંત્રનું કદ પાંચ ટ્રિલ્યન ડૉલર કરવું હશે તો નિકાસોના વધારાને અનુક્રમ આપવો પડશે. આરસીઈપી અથવા તેમાંથી બહાર રહી જવાની ચિંતા જ આર્થિક સુધારાઓની પ્રક્રિયા ઝડપી બનાવવા માટેનું કારણ બનશે અને તે દ્વારા આપણા નિકાસકારોએ વિશ્વ બજારમાંની હરીફશક્તિ વધારવી પડશે. આ બધી જંજાળમાં પડ્યા સિવાય આરો નથી. વિશ્વથી અલગ પડી જવું તે આમાં છૂટવા માટેનો વિકલ્પ નથી.

આરસીઈપી માટેની વાટાઘાટો ૨૦૧૩માં શરૂ થઈ પણ વિશ્વમાં સંરક્ષણવાદનો ઉદય થયો અને અમેરિકાએ ફ્રાન્સ પૅસેફિક પાર્ટનરશિપ (ટીપીપી)ના કરાર કરવાનો ઇનકાર કર્યો ત્યાર પછી આરસીઈપી ટ્રેડિંગ બ્લૉક માટેની ચળવળને વેગ મળ્યો. અમેરિકા અને ચીન વચ્ચેના વેપારયુદ્ધે સાઉથ ઈસ્ટ એશિયાના દેશોને ઠેસ પહોંચાડી વિશ્વમાં વધતા જતા સંરક્ષણવાદ વચ્ચે આરસીઈપી જેવા મુક્તકરાર ટેરિફના ઘટાડા કે નાબૂદી દ્વારા આ દેશોની નિકાસબજારને સલામતી પૂરી પાડી શકે. ભારત અને ચીન મળીને આ ગ્રુપના ૫૦ ટકા જીડીપીનો હિસ્સો ધરાવે છે. ગ્રુપના અન્ય દેશોની અપેક્ષા એવી હતી કે આ વેપારકરારને આખરી સ્વરૂપ મળી જાય એટલે ભારતનું વિશાળ બજાર તેમના માટે ખૂલી જવાની સંભાવના વધી જશે.

ભારત ભૂતકાળના અન્ય દેશો સાથેના એફ્ટીએના તેના ભૂતકાળના અનુભવને એના કારણે થોડી સાવધાની વર્તવા માગે છે. આશિઅાન દેશો સાથે કોરિયા સાથે જપાન સાથેના એફ્ટીએ પછી ૨૦૦૯-૧૦ અને ૨૦૧૮-૧૯ વચ્ચે ભારતની વેપારખાધ આ દેશોની સાથે વધી છે. જો ભારત આઇસીઇપીના કરારમાં જોડાય તો આશિઅાન દેશો કોરિયા અને જપાનથી કરારમાં જોડાય તો આશિઅન દેશો કોરિયા અને જાપાનથી કરાતી આયાતોની ૯૦ ટકા ચીજવસ્તુઓ ૫રની અને ચીન ઑસ્ટ્રેલિયા અને ન્યુ ઝીલૅન્ડથી આયાત કરાતી ૭૪ ટકા ચીજવસ્તુઓ પરની ડયુટી તેણે ઘટાડવી પડી હોત. પરિણામે આ દેશોમાંથી કરાતી સસ્તી આયાતોને કારણે ભારતના આયર્ન અને સ્ટીલ, ડેરી અને મરીન પ્રોડકટસ તથા ઇલેક્ટ્રૉનિકસ ઉદ્યોગોને અવળી અસર થવાની દહેશત ઊભી થતી હતી. ખાસ કરીને તો ચીનની ચીજવસ્તુઓની આયાતોથી ભારતનું બજાર ઊભરાઈ જવાની સંભાવના વધી જાત.

આ પણ જુઓ : ઈશા-આકાશ-અનંતથી અનમોલ-અંશુલ સુધીઃ મળો અંબાણી પરિવાની નવી પેઢીને

આશિઅન ડેવલપમેન્ટ  બૅન્કોના એક અભ્યાસ પ્રમાણે ૨૫ ટકા લેવલે ભારતના એફટીએના વાપરવાનો કે કામમાં લેવાનો દર એશિયાના દેશોમાં નીચામાં નીચો છે. ખામીયુકત વચનો કડક રૂલ્સ ઓફ ઓરિજિન અને ઊંચી લોજિસ્ટિક કિંમતો (જેમાં ટ્રાન્ઝેકશન કોસ્ટનો પણ સમાવેશ થાય છે) ને કારણે ભારતના નિકાસકારો આવા એફટીએનો ધાર્યો લાભ ઉઠાવી શકતા નથી. ૨૦૧૦માં ભારત અને આશિઅન દેશો વચ્ચેના વેપારકરાર પછી આ દેશો માટે ભારતની વેપાર ખાધ  લગભગ ત્રણ ગણી (૮ બિલ્યન ડૉલરમાંથી ૨૨ બિલ્યન ડૉલર) થઈ.

ભારતની કુલ વેપારખાધની લગભગ ૫૦ ટકા વેપારખાધ ચીન સાથે છે જે ૨૦૧૮માં ૫૮ બિલ્યન ડૉલર થઈ છે
ભારતની લગભગ કુલ ૫૦ ટકા વેપારખાધ ચીન સાથે છે જે ૨૦૧૮માં ૫૮ બિલ્યન ડૉલર જેટલી હતી. ચીન સાથેના દ્વિપક્ષીય વેપારનું માળખું ભારત સરકાર માટે પડકારરૂપ છે. ચીન ખાતે ભારતમાંથી કરાતી આયાતોમાં ૫૦ ટકા હિસ્સો નોન ફેરસ ધાતુઓ જેવી પ્રાથમિક ચીજવસ્તુઓનો છે જ્યારે ભારત ખાતે ચીનમાંથી કરાતી આયાતોમાં ૫૦ ટકા હિસ્સો ટેલિકૉમ ઇક્વિપમેન્ટ જેવી સોફિસ્ટિકેટડ ચીજવસ્તુઓનો છે. સસ્તી ચાઇનીઝ ચીજવસ્તુઓની આયાતોના મારા સામે ભારતના ઉદ્યોગોના રક્ષણ અને બચાવ માટે ભારતે છેલ્લા થોડા સમયથી ચીનથી આયાત કરાતી ચીજવસ્તુઓ પરની ડ્યુટી વધારી છે. આ સસ્તી આયાતો ભલે કદાચ એમની ગુણવત્તા (કવૉલિટી) ઊતરતી હોય. ભારતના સ્થાનિક ઉદ્યોગો  સામેનો મોટો પડકાર છે અને ભારતના ‘મેડ ઇન ઇન્ડિયા’ પ્રોગ્રામ માટે પણ રેડ સિગ્નલ છે.

આ સંજોગોમાં ભારતે તેના પશ્ચિમના વેપારી ભાગીદાર દેશોના સમૂહ જેવા કે ઇયુ અને અમેરિકા સાથેના વેપારકરારને આખરી સ્વરૂપ આપવા માટેના પ્રયાસો સઘન કરવા જોઈએ. ઇયુ અમેરિકા અને યુએઇ ભારતથી કરાતાં વસ્ત્રો (અપેરલ)ની આયાતો પર ૩૦ ટકા ડ્યુટી વસૂલ કરે છે. જ્યારે આ જ ચીજવસ્તુઓની આ દેશોમાં ભારતના હરીફ દેશોમાંથી કરાતી આયાતો ડ્યુટી ફ્રી છે. પરિણામે ભારત માટે આ બજારોમાં ટકવું મુશ્કેલ બને છે.

આ પણ જુઓ : અંબાણીના આંગણે અવસરઃ જુઓ સિતારાઓથી સજ્જ પાર્ટીની તસવીરો

ભારતના ઉદ્યોગજગતની ચિંતાને ધ્યાનમાં લઈને ભારત સરકારે આ વેપાર કરારમાં નહીં જોડાવાનો અને તે દ્વારા પોતાના ‘મેઇડ ઇન ઇન્ડિયા’ પ્રોગ્રામને સફળતા માટેનો પ્રયાસ કર્યો છે, પણ ભારતનું વિશાળ ગ્રાહક બજાર ગુમાવવાનું આ ગ્રુપના અન્ય દેશોને ખાસ કરીને ચીનને પરવડે નહીં એટલે ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાને ભારત માટે કયારે પણ આરસીઈપીમાં જોડાવાના દ્વાર ખુલ્લા છે, એવી સ્પષ્ટતા કરી છે.


આ વેપારકરારમાં ભારત જો હાલની શરતો પ્રમાણે જોડાય તો ચીનથી થતી આયાતોના સંભવિત ધસારા સામે વેપાર ઉદ્યોગોની હાલત બગડે તો બીજી તરફ ઑસ્ટ્રેલિયા અને ન્યુ ઝીલૅન્ડથી થતી ડેરી ઉત્પાદનો અને ખેતપેદાશોની આયાતોના સંભવિત ધસારાને કારણે આપણા કિસાનોની હાલત વધારે ખરાબ થાય. અનેક કારણોસર કયારનીયે આ કિસાનોની માઠી હાલત તો છે જ. આ સંજોગોમાં સરકાર વેપાર ઉદ્યોગ અને કિસાનો જેવા નાગરિકોના મોટા સમૂહને એકસાથે વધારે નારાજ કરવાનું પગલું ન લે તે સ્વાભાવિક છે.


સરકાર દ્વારા રાહતના અનેક પેકેજો (છેલ્લે રિયલ એસ્ટેટ સેકટર માટેનું ૨૫,૦૦૦ કરોડ રૂપિયાનું પેકેજ) જાહેર કરાયા પછી પણ આર્થિક સ્લોડાઉનની પરિસ્થિતિમાં કોઈ નોંધપાત્ર સુધારો જોવા મળતો નથી. વિકાસ માટેની ભારતની ક્ષમતા અકબંધ છે એવા સરકારી દાવા વચ્ચે આર્થિક સ્લોડાઉન સાઇક્લિકલ (સમયાંતરે આવતા ફેરફાર) નહીં પણ સ્ટ્રકચરલ (માળખાકીય) છે એવી પોતાની માન્યતાને કારણે ક્રેડિટ રેટિંગ એજન્સી મૂડીઝે ભારત માટેનું આઉટલૂક સ્ટેબલમાંથી નેગેટિવ કહ્યું છે. આ પગલાને કારણે ભારતનું રેટિંગ ઘટયું નથી, પણ આ જાહેરાત સરકાર માટે ચેતવણીરૂપ છે.


યુપીએ અને મનમોહન સિંહની સરકાર માટે પ્રથમ પાંચ વરસ (૨૦૦૪-૨૦૦૯)ની મુદત કરતાં બીજા પાંચ વરસ (૨૦૦૯-૨૦૧૪)ની મુદતમાં સરકારની મુશ્કેલીઓમાં અનેકગણો વધારો થયો હતો. (૨૦૦૯માં યુપીએની  ઐતિહાસિક જીત પછી પણ) એનડીએ સરકાર માટે પણ ૨૦૧૯ની ઐતિહાસિક જીત પછી બીજી મુદત (૨૦૧૯-૨૦૨૪) તેની જ પહેલી મુદત (૨૦૧૪-૨૦૧૯) કરતાં વધારે મુશ્કેલભરી બને એવા એંધાણ મળવાની શરૂઆત થઈ ગઈ છે. સરકારની અને દેશની ખરી કસોટી શરૂ થઈ રહી છે, હવે એની કોણ ના કહી શકે?

business news narendra modi