18 May, 2020 02:27 PM IST | Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent
યુવરાજ સિંહ
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઑલરાઉંડર યુવરાજ સિંહે પૂર્વ પાકિસ્તાની કૅપ્ટન શાહિદ આફ્રિદીના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યે આપેલા નિવેદન પર નારાજગી વ્યક્ત કરી છે. યુવરાજે સોશિયલ મીડિયા પર ટ્વીટ કરી પાકિસ્તાની ક્રિકેટરના નિવેદન પર નિરાશા વ્યક્ત કરી છે અને કહ્યું કે તે આવા શબ્દો ક્યારેય સહન નહીં કરે.
કોરોના વાયરસ સંક્રમણ ફેલાવા બાદ પાકિસ્તાનની મદદ કરવા માટે હાથ આગળ વધારનાર યુવરાજ સિંહને રવિવારે ખૂબ જ નિરાશા થઈ. યુવરાજે કેટલાક દિવસ પહેલા જ પૂર્વ પાકિસ્તાની કૅપ્ટન શાહિદ આફ્રિદીની સંસ્થાને કોરોનાની જંગ લડવા માટે મદદ રાસિ આપવાની જાહેરાત કરી હતી. રવિવારે આફ્રિદીના પીએમ મોદી પર આપેલા નિવેદનને સાંભળ્યા પછી તે ખૂબ જ નિરાશ થયો છે. યુવરાજે આ ટ્વીટ પણ કર્યું છે.
કાશ્મીર મુદ્દા પર શાહિદ આફ્રિદીએ કરેલી એક ટ્વીટ પર ગૌતમ ગંભીરે તેને આડેહાથ લઈને તેની ઝાટકણી કાઢી છે.
આફ્રિદીએ ટ્વીટ કરી હતી કે ‘કાશ્મીરીઓની વેદના અનુભવવા માટે ધાર્મિકતા જરૂરી નથી. સાચા લોકો સાચા સ્થાને હોવા જોઈએ. કાશ્મીર બચાવો.’
શાહિદ આફ્રિદીને જવાબ આપતાં ગૌતમ ગંભીરે ટ્વીટ કરી કે ૧૬ વર્ષના માણસના કહ્યા પ્રમાણે ૨૦ કરોડ લોકો પાકિસ્તાનની ૭ લાખ લોકોની ફોર્સને ટેકો આપે છે છતાં ૭૦ વર્ષથી તેઓ કાશ્મીર માટે ભીખ માગે છે. આફ્રિદી, ઇમરાન અને બાજવા જેવા જોકર ભારત અને નરેન્દ્ર મોદીજીના વિરોધમાં પોતાની પ્રજાને મૂર્ખ બનાવી રહ્યા છે, પણ કયામત સુધી કાશ્મીર નહીં મળે. બંગલા દેશ યાદ છેને?’
આ પહેલાં પણ આ બન્ને પ્લેયર વચ્ચે વિવિધ કારણસર વાક્યુદ્ધ થયાં છે.
તાજેતરમાં શાહિદ આફ્રિદીએ કાશ્મીર મામલે કરેલી એક ટ્વીટ બદલ ગૌતમ ગંભીરે તેની ઝાટકણી કાઢી હતી અને હવે હરભજન સિંહ પણ આફ્રિદીની ટ્વીટથી ખફા થયો છે. હરભજન સિંહે તો એટલું પણ કહી દીધું કે હું હવે આફ્રિદી સાથે કોઈ સંબંધ નહીં રાખું.
પોતાની નારાજગી વ્યક્ત કરતાં હરભજને કહ્યું કે ‘આફ્રિદીએ આપણા દેશ અને વડા પ્રધાન માટે જે ટિપ્પણી કરી એ ખરેખર દુખદ છે અને સ્વીકાર્ય નથી. ખરું કહું તો કોરોનાના સમયમાં એને માટે અપીલ કરવાની વાત આફ્રિદીએ જ અમને કરી હતી અને આપણા વડા પ્રધાને પણ દેશની સીમા વટાવી એકબીજાને મદદ કરવાની અપીલ કરી હતી. એટલે માનવતાની દૃષ્ટિએ અમે તેને મદદ કરવાની અપીલ કરી હતી, પણ આ માણસ આપણા દેશ માટે ખોટું બોલી રહ્યો છે. હું માત્ર એટલું કહેવા માગીશ કે હવે મારે શાહિદ આફ્રિદી સાથે કાંઈ લેવાદેવા નથી. આપણા દેશ માટે કંઈ પણ ખોટું બોલવાનો તેને અધિકાર નથી. તે માત્ર પોતાના દેશમાં અને પોતાની લિમિટમાં રહે. હું આ દેશમાં જન્મ્યો છું અને આ દેશ માટે મરીશ. આ દેશ માટે હું છેલ્લાં ૨૦ વર્ષથી રમતો આવ્યો છું. જો મારા દેશને જરૂર હશે તો બંદૂક લઈને હું બૉર્ડર પર પણ જવા તૈયાર છું.’