07 January, 2021 02:09 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent
તસવીર સૌજન્ય જાગરણ
ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બૉર્ડ (BCCI)ના અધ્યક્ષ સૌરવ ગાંગુલીને ગુરુવારે કોલકાતાની હૉસ્પિટલમાંથી રજા મળી ગઈ છે. તેમણે પોતાના બાળપણના મિત્ર જૉયદીપનો જીવનના મુશ્કેલ સમયમાં સાથે રહેવા માટે આભાર માન્યો છે.
હૉસ્પિટલમાંથી નીકળ્યા પછી ગાંગુલીએ મીડિયા સાથે પણ વાત કરી. તેમણે કહ્યું કે, "આપણે પોતાનો જીવ બચાવવા માટે હૉસ્પિટલ આવીએ છીએ. આ હકીકત સાબિત થઈ. હું વુડલેન્ડ્સ હૉસ્પિટલ અને ઉત્કૃષ્ટ દેખરેખ માટે બધાં ડૉક્ટર્સનો આભાર માનું છું. હું એકદમ સ્વસ્થ છું આશા છે કે ટૂંક સમયમાં જ કમબૅક કરીશ."
ગાંગુલીએ ઇન્સ્ટાગ્રામ પર પોતાના મિત્ર માટે ભાવુક સંદેશ લખ્યો છે, "જૉયદીપ હું તને 40 વર્ષથી ઓળખું છું. અને હવે તું મારા પરિવારના સભ્ય કરતાં ઓછો નથી. પણ તે આ પાંચ દિવસ મારા માટે જે કર્યું છે, તે હું આજીવન યાદ રાખીશ."
હૉસ્પિટલે નિવેદન જાહેર કરીને જણાવ્યપં કે સારવાર કરતા ડૉક્ટર દાદાના સ્વાસ્થ્ય પર બારીકાઇથી ધ્યાન રાખી રહ્યા છે. સાથે જ સમયાંતરે સ્વાસ્થ્ય સંબંધી પગલા લેવામાં આવશે. હૉસ્પિટલની સીઇઓ અને એમડી ડૉ. રૂપાલી બસુએ કહ્યું કે દાદાના સ્વાસ્થ્ય અંગે 24 કલાક ધ્યાન રાખવામાં આવશે. બસુએ કહ્યું કે 48 વર્ષી દાદાના આગામી મેડિકલ ટેસ્ટ 2-3 અઠવાડિયા પછી થશે.
સૌરવ ગાંગુલીને બુધવારે હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળવાનું હતું, પણ તેમના આગ્રહ પર એક દિવસ પછી ગુરુવારે હૉસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી. તેમને શનિવારે હ્રદયનો સામાન્ય અટેક આવ્યા પછી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે જ દિવસે તેમની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી.
જાણીતા કાર્ડિયોલૉજિસ્ટ ડૉ. દેવી શેટ્ટીએ મંગળવારે કહ્યું હતું કે, "સૌરવ ગાંગુલી ફિટ છે અને હવે તે ફરીથી સામાન્ય જીવન તરફ વળી શકે છે જેવા પહેલા હતા."