18 September, 2025 11:39 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટૅગનારાયણ ચંદરપૉલ, ઍલિક ઍથનેઝ
આવતા મહિને ભારતમાં બે ટેસ્ટ-મૅચની સિરીઝ રમવા આવી રહેલી વેસ્ટ ઇન્ડીઝની ટીમની ગઈ કાલે જાહેરાત કરવામાં આવી હતી. સિલેક્ટરોએ ભૂતપૂર્વ કૅપ્ટન ક્રેગ બ્રેથવેઇટને ડ્રૉપ કર્યો છે અને યુવા ખેલાડીઓ ટૅગનારાયણ ચંદરપૉલ અને ઍલિક ઍથનેઝને ફરી મોકો આપ્યો છે. આ ઉપરાંત ૩૩ વર્ષના ઑલરાઉન્ડર ખૅરી પિયરનો પહેલી વાર ટેસ્ટ-ટીમમાં સમાવેશ કર્યો છે.
રોસ્ટન ચેઝના નેતૃત્વમાં કૅરિબિયન ટીમ બેથી ૬ ઑક્ટોબર દરમ્યાન અમદાવાદમાં પહેલી ટેસ્ટ અને ૧૦થી ૧૪ ઑક્ટોબર દરમ્યાન દિલ્હીમાં બીજી ટેસ્ટ રમશે.
૨૦૧૮માં છેલ્લે જ્યારે વેસ્ટ ઇન્ડીઝની ટીમ ભારત આવી હતી ત્યારે કૅપ્ટન્સી કરનાર બ્રેથવેઇટે આ વર્ષે માર્ચમાં કૅપ્ટન્સી છોડી દીધી હતી. છેલ્લે ઘરઆંગણે ઑસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં ખરાબ ફૉર્મને લીધે તેને ટીમમાંથી ડ્રૉપ કરવામાં આવ્યો હતો.