08 February, 2021 11:58 AM IST | Chennai | Gujarati Mid-day Correspondent
ઇંગ્લૅન્ડ સામે ચેન્નઈના ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઈ રહેલી પહેલી ટેસ્ટનની પ્લેઇંગ ઇલેવનમાં ચાઇનામૅન કુલદીપ યાદવનો સમાવેશ ન થતાં ભૂતપૂર્વ ભારતીય બૅટ્સમૅન વસીમ જાફરને ખોટું લાગી આવ્યું છે છતાં કુલદીપને આશા ન છોડવાની સલાહ આપતાં જાફરે ગઈ કાલે એક ટ્વીટ કરી હતી.
વસીમ જાફરે કહ્યું કે ‘હું કંઈ મદદ કરી શકું એમ નથી, પણ કુલદીપ યાદવ માટે ઘણું ખરાબ લાગી રહ્યું છે. ઑગસ્ટ મહિનાથી તે એક બાયો-બબલમાંથી નીકળીને બીજા બાયો-બબલમાં ટ્રાવેલ કરી રહ્યો છે, પણ હજી સુધી તેને પોતાની પ્રતિભા બતાવવાની તક નથી મળી. કુલદીપ, તું નિરાશ થઈ હાર ન માનતો. તેં પહેલાં પણ સારું પ્રદર્શન કરી બતાવ્યું છે અને મને ભરોસો છે કે જો તને ફરીથી તક મળશે તો તું ફરીથી કમાલ કરી બતાવીશ.’
કુલદીપે અત્યાર સુધી ટીમ ઇન્ડિયા માટે ૬ ટેસ્ટ મૅચમાં ૨૪ વિકેટ મેળવી છે.