06 October, 2025 09:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સૂર્યકુમાર યાદવ
ભારતના સ્ટાર બૅટ્સમૅન અને T20 કૅપ્ટન સૂર્યકુમાર યાદવે હાલમાં પોતાના જીવનના એક મોટા અફસોસ વિશે ખુલાસો કર્યો છે. T20 એશિયા કપ 2025 જીતનાર કૅપ્ટન સૂર્યાએ એક ઇવેન્ટમાં કહ્યું હતું કે ‘જ્યારે મહેન્દ્ર સિંહ ધોની ભારતીય કૅપ્ટન હતો ત્યારે હું તેની કૅપ્ટન્સીમાં રમવા ઇચ્છતો હતો, પરંતુ મને ક્યારેય તક મળી નહીં. IPLમાં જ્યારે હું તેની સામે રમું છું ત્યારે તેને સ્ટમ્પ પાછળ જોતો હતો. તેની પાસેથી પ્રેશરની સ્થિતિમાં પણ શાંત રહેવાનું હું શીખ્યો છું. તે રમતનું અવલોકન કરે છે અને પછી નિર્ણય લે છે.’
ભારતના ભૂતપૂર્વ કૅપ્ટન રોહિત શર્મા વિશે વાત કરતાં સૂર્યકુમાર યાદવે કહ્યું હતું કે ‘તેના નેતૃત્વમાં હું IPL ટીમ અને ભારત માટે ઘણું ક્રિકેટ રમ્યો. તે એવી વ્યક્તિ છે જે દરેકને પોતાની આસપાસ આરામદાયક અનુભવ કરાવે છે. તે બધા યુવાનો માટે પ્રેરણારૂપ છે. તેના દરવાજા બધા માટે સાતેય દિવસ ૨૪ કલાક ખુલ્લા રહેતા. આ એક અલગ ગુણવત્તા છે જે હું તેની પાસેથી શીખ્યો છું.’