10 December, 2025 10:31 AM IST | Puri | Gujarati Mid-day Correspondent
કડક સુરક્ષા વચ્ચે મંદિરમાં પ્રવેશ મેળવી તેઓ જગન્નાથની શરણમાં પહોંચ્યાં હતાં
સાઉથ આફ્રિકા સામેની T20 સિરીઝની સાંજના સમયે રમાનારી ઓપનિંગ મૅચ પહેલાં ભારતીય ટીમના કેટલાક સભ્યો ઓડિશાના શ્રી જગન્નાથ મંદિરમાં આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. કટકના બારાબતી સ્ટેડિયમથી ઑલમોસ્ટ ૮૭ કિલોમીટર દૂર આવેલા આ વિશ્વપ્રખ્યાત મંદિરમાં હેડ કોચ ગૌતમ ગંભીર, ફીલ્ડિંગ કોચ ટી. દિલીપ, બૅટિંગ કોચ સિતાંશુ કોટક, કૅપ્ટન સૂર્યકુમાર યાદવ અને તેની પત્ની દેવીશા શેટ્ટી, તિલક વર્મા અને જિતેશ શર્મા એકસાથે પહોંચ્યાં હતાં. કડક સુરક્ષા વચ્ચે મંદિરમાં પ્રવેશ મેળવી તેઓ જગન્નાથની શરણમાં પહોંચ્યાં હતાં.
T20 જર્સી પર હવે ત્રીજો સ્ટાર જોવા ઇચ્છે છે સૂર્યા ઍન્ડ કંપની
સાઉથ આફ્રિકા સામેની T20 સિરીઝ માટેના ફોટોશૂટમાં ભારતીય ટીમ નવી T20 જર્સીમાં જોવા મળી હતી. ગઈ કાલે ભારતીય ક્રિકેટ બોર્ડે આ ફોટોશૂટનો વિડિયો શૅર કર્યો હતો. એમાં તમામ પ્લેયર્સે જર્સીની પ્રશંસા કરી અને એ જર્સી પર T20 વર્લ્ડ કપ જીતવાના પ્રતીક સમાન બે સ્ટારની સંખ્યા વધારી ૩ સ્ટાર કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. ભારત પાસે ઘરઆંગણે T20 વર્લ્ડ કપ 2026 રમાવાનો હોવાથી ડિફેન્ડ કરવાની સ્વર્ણિમ તક રહેશે.