15 October, 2021 02:03 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
લોકેશ રાહુલ
ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ૪૪ વર્ષના બ્રેટ લીને ખાતરી છે કે યુએઈ ખાતેના આગામી ટી૨૦ વર્લ્ડ કપમાં જો ભારતીય ટીમ કે. એલ. રાહુલ વિશે ખાસ યોજના બનાવીને તેને ટીમના સ્તંભ તરીકે માનશે તો કૅપ્ટન વિરાટ કોહલી પરનો ઘણોખરો બોજ હળવો થઈ જશે.
રાહુલે આ વખતે આઇપીએલમાં સૌથી વધુ ૬૨૬ રન બનાવ્યા છે. તે પંજાબ કિંગ્સનો કૅપ્ટન હતો. બ્રેટ લીના મતે ‘ભારત આ વર્લ્ડ કપ જીતવા માટે ફેવરિટ છે, કારણ કે એ ત્રણેય ફૉર્મેટની મૅચમાં હરીફ ટીમ પર પ્રભુત્વ જમાવી શકે છે. જો રાહુલ ઓપનિંગમાં ઘણા રન બનાવશે તો કોહલી પરથી ઘણો ભાર ઊતરી જશે અને તે પોતાની નૅચરલ ગેમ રમી શકશે. મારા મતે રાહુલ આઇપીએલની જેમ વર્લ્ડ કપમાં પણ સૌથી વધુ રન બનાવશે.’
બ્રેટ લીના મતે સૂર્યકુમાર યાદવ પણ ભારતીય બૅટિંગને ચાર ચાંદ લગાવી શકે છે.