22 January, 2026 10:31 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ ગઈ કાલે પુષ્ટિ આપી છે કે મેન્સ T20 વર્લ્ડ કપ 2026 શેડ્યુલ મુજબ જ યોજાશે. બંગલાદેશની મૅચોના શેડ્યુલ અને વેન્યુમાં પણ કોઈ ફેરફાર થશે નહીં. નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે ભારતના કોઈ પણ ટુર્નામેન્ટ સ્થળ પર બંગલાદેશી ખેલાડીઓ, મીડિયા-કર્મચારીઓ, અધિકારીઓ અને ચાહકો માટે કોઈ ખતરો નથી. અમે બંગલાદેશ ક્રિકેટ બોર્ડ સાથે વારંવાર અને રચનાત્મક ચર્ચાઓ કરી રહ્યા છે. એનો સ્પષ્ટ ઉદ્દેશ્ય બંગલાદેશને ટુર્નામેન્ટમાં ભાગ લેવા સક્ષમ બનાવવાનો છે.’
નિવેદનમાં આગળ કહેવામાં આવ્યું હતું કે ‘બંગલાદેશ પોતાનું વેન્યુ બદલવાની વાત પર અડગ રહ્યું છે. ટુર્નામેન્ટની નજીક આટલા ફેરફારો કરવા શક્ય નથી અને આ સંજોગોમાં, કોઈ વિશ્વસનીય સુરક્ષા-ખતરાની ગેરહાજરીમાં સમયપત્રકમાં ફેરફાર કરવાથી ભવિષ્યની ICC ઇવેન્ટ્સની પવિત્રતા જોખમમાં મુકાઈ શકે છે.’
ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ બંગલાદેશની T20 વર્લ્ડ કપ ભાગીદારીના વિવાદ માટે વિશેષ મીટિંગ યોજી હતી. આ મીટિંગમાં હાજર ફુલ-મેમ્બર નૅશન ટીમોના ડિરેક્ટરોએ બંગલાદેશને રિપ્લેસ કરવાના પક્ષમાં ૧૪-૨નું વોટિંગ કર્યું હતું. આ મામલે બંગલાદેશને માત્ર પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનો સાથ મળ્યો હતો.
જો બંગલાદેશ ભારતમાં વર્લ્ડ કપ રમવાની ના પાડીને ખસી જશે તો રૅન્કિંગના આધારે ટુર્નામેન્ટમાં એના સ્થાને સ્કૉટલૅન્ડના સમાવેશનો નિર્ણય પણ લેવાયો છે. બંગલાદેશ ક્રિકેટ બોર્ડને પોતાનો નિર્ણય લેવા માટે વધુ એક-બે દિવસ આપ્યા છે.