10 June, 2025 10:04 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શ્રેયસ ઐયર
T20 મુંબઈ લીગની ત્રીજી સીઝનની બન્ને સેમી-ફાઇનલ મૅચ આજે પ્રતિષ્ઠિત વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. બપોરે ૨.૩૦ વાગ્યે ઈગલ થાણે સ્ટ્રાઇકર્સ અને મુંબઈ સાઉથ સેન્ટ્રલ મરાઠા રૉયલ્સ વચ્ચે પહેલી સેમી-ફાઇનલ રમાશે, જ્યારે બીજી સેમી-ફાઇનલ સાંજે ૭.૩૦ વાગ્યે સોબો મુંબઈ ફાલ્કન્સ અને બાંદરા બ્લાસ્ટર્સ વચ્ચે રમાશે. બન્ને ટીમની વિજેતા ટીમ વચ્ચે ૧૨ જૂને આ જ મેદાન પર ફાઇનલ જંગ જામશે.
સ્ટાર ભારતીય ક્રિકેટર શ્રેયસ ઐયરના નેતૃત્વમાં સોબો મુંબઈ ફાલ્કન્સે સેમી-ફાઇનલમાં એન્ટ્રી કરી છે એટલે કે ઐયર ૧૦ દિવસની અંદર બીજી વાર T20 ટુર્નામેન્ટની નૉકઆઉટ મૅચ રમશે જેણે ૧ જૂને અમદાવાદમાં પંજાબ કિંગ્સ તરફથી મુંબઈ ઇન્ડિયન્સ સામે ક્વૉલિફાયર-ટૂ મૅચ રમી હતી.
૩૦ વર્ષના શ્રેયસે T20 મુંબઈ લીગ દરમ્યાન કહ્યું હતું, ‘કૅપ્ટન્સી ઘણી પરિપક્વતા અને જવાબદારી લાવે છે. તમારી પાસેથી હંમેશાં તમારું શ્રેષ્ઠ પ્રદર્શન કરવાની અને ટીમમાં યોગદાન આપવાની અપેક્ષા રાખવામાં આવે છે, કારણ કે જ્યારે પણ કોઈ અવરોધ આવે છે ત્યારે એ હંમેશાં કૅપ્ટન પાસે આવે છે. મને લાગે છે કે મારી પાસે ઘણો અનુભવ છે, કારણ કે હું બાવીસ વર્ષની ઉંમરથી કૅપ્ટન્સી કરી રહ્યો છું. મેં ક્ષણોનો આનંદ માણ્યો છે અને એને સ્વીકાર્યો છે. મને સામેથી નેતૃત્વ કરવાનું ગમે છે.’