11 May, 2021 02:26 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
લસિથ મલિન્ગા
શ્રીલંકાની નૅશનલ સિલેક્શન કમિટીના ચૅરમૅન પ્રમોદયા વિક્રમસિંઘેએ જણાવ્યા પ્રમાણે ટી૨૦ વર્લ્ડ કપ માટે શ્રીલંકાની ટીમમાં ફાસ્ટ બોલર લસિથ મલિન્ગાની વાપસી થશે. વિક્રમ સિંઘેએ કહ્યું હતું કે ‘અમે લસિથ સાથે વાત કરીશું. ઑક્ટોબરમાં રમાનારા વર્લ્ડ કપ માટે અમે તેના નામને ધ્યાનમાં રાખખ્યું છે. ૨૦૨૩માં રમાનારા ૫૦ ઓવરના વર્લ્ડ કપને લઈને પણ અમે યોજના બનાવી છે.અ મે ઉંમર અને ફિટનેસ બધી બાબતોનું ધ્યાન રાખી રહ્યા છીએ.’
મલિન્ગાએ વન-ડેમાંથી નિવૃત્તિ લેવાની ઘોષણા કરી છે. મુંબઈની ટીમે પણ આ વર્ષે આઇપીએલની હરાજી પહેલાં મલિન્ગાને રિલીઝ કર્યો હતો. મલિન્ગાએ આઇપીએલમાં ૧૨૨ મૅચમાં ૧૭૦ વિકેટ લીધી હતી. ૩૭ વર્ષનો મલિન્ગા ૨૦૦૮થી મુંબઈની ટીમ સાથે જોડાયેલો હતો. ૨૦૨૧ અને ૨૦૨૨ના વર્લ્ડ કપને જોતાં શ્રીલંકાની ટીમમાં એક અનુભવી બોલરની ખોટ છે, જેને મલિન્ગા પૂરી શકે છે. શ્રીલંકાના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર વિક્રમસિંઘેએ કહ્યું હતું કે ‘એના હાલના ફૉર્મને પણ ધ્યાનમાં રાખીએ તો તે શ્રીલંકાનો શ્રેષ્ઠ બોલર છે. તેના રેકૉર્ડ આ વાતની સાક્ષી પૂરી પાડે છે. અમે જ્યારે તેને મળીશું ત્યારે આ બધી વાતો વિશે વિસ્તારથી ચર્ચા કરીશું.’
મલિન્ગા પણ સમિતિને મળવા ઉત્સુક છે. તેણે કહ્યું હતું કે હું ટેસ્ટ અને વન-ડેમાંથી નિવૃત્ત થયો છું, ટી૨૦માંથી નહીં. સિલેક્શન કમિટી મારો કઈ રીતે ઉપયોગ કરવા માગે છે એ હું જાણવા માગું છું. મારીકરીઅરમાં મેં જ્યારે પણ લાંબા અંતરાલ બાદ વાપસી કરી છે ત્યારે સારું પ્રદર્શન કર્યું છે.’