28 January, 2021 07:10 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સૌરવ ગાંગુલી
ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન અને બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીની ગુરૂવારે 26 દિવસના ગાળામાં બીજી વાર એન્જીયોપ્લાસ્ટી થશે. સૌરવને બુધવારે હોસ્પટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સૌરવના ફૅમિલી ડૉક્ટર ડૉ. આફ્તાબ ખાન જાણીતા કાર્ડિયોલોજિસ્ટ નિષ્ણાંત ડૉ દેવી શેટ્ટીની હાજરીમાં એન્જીયોપ્લાસ્ટી કરાઇ અને બે સ્ટેન્ટ મુકવામાં આવ્યા.
સૌરવની પહેલી એન્જીયોપ્લાસ્ટી તેમને હાર્ટ એટેક આવ્યા બાદ 2 જાન્યુઆરીએ થઈ હતી. તેમના હ્રદયની ત્રણ ધમનીઓમાં અવરોધ જોવા મળ્યો હતો. એન્જીયોપ્લાસ્ટી કરીને એમાંથી એકમાં સ્ટેન્ટ લગાવવામાં આવી હતી. બાકી બે ધમનીઓમાં થોડા સમય બાદ સ્ટેન્ટ લગાવવાનો ડૉક્ટરે નિર્ણય લીધો હતો. આ પછી 7 જાન્યુઆરીએ સૌરવ ગાંગુલીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી અને તેમને ઘરે જ આરામ કરવાની સલાહ આપવામાં આવી હતી. સૌરવ ત્યારથી ઘરે જ હતા. કૌટુંબિક સૂત્રોના જણાવ્યા અનુસાર મંગળવારે સાંજે અને બુધવારે સવારે સૌરવે ફરીથી છાતીમાં હળવા દુખાવાની ફરિયાદ કરી હતી. ત્યાર બાદ તેમણે ડૉ. આફ્તાબ ખાન પાસેથી સલાહ લીધી હતી. ડૉ.ખાનની સલાહ પર સૌરવ બુધવારે હોસ્પિટલમાં આવીને દાખલ થઈ ગયા હતા. તેમની સારવાર માટે રચાયેલા મેડિકલ બૉર્ડમાં ડૉ.ખાન સિવાય ડૉ.સરોજ મંડલ અને ડૉ.સપ્તર્ષિ બસુ સામેલ છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ સૌરવ ગાંગુલીની ખબર કાઢવા આવ્યા હતા.
સૌરવને બેહલા સ્થિત તેમના ઘરેથી હોસ્પિટલ લઈ જવા માટે ગ્રીન કૉરિડોર તૈયાર કરવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં સૌરવની સૌથી પહેલા ઈસીજી કરવામા આવી હતી. હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું કે ઈસીજી રિપોર્ટમાં કેટલીક નવી સમસ્યાઓ જોવા મળી હતી. બીજી તરફ હોસ્પિટલ મેનેજમેન્ટ તરફથી કહેવામાં આવ્યું કે સૌરવ ગાંગુલી તેમના હૃદયની સ્થિતિની તબીબી તપાસ માટે આવ્યા છે. તેની સ્થિતિ છેલ્લી વાર હોસ્પિટલમાં દાખલ થયાના સમય જેવી જ છે. તેમના બધા મહત્વપૂર્ણ આરોગ્ય માપદંડ સ્થિર છે.