ભારત કરતાં વિશ્વની અન્ય ટીમોમાં વ્યક્તિગત સિદ્ધિઓની વધુ ઉજવણી થાય છે : શ્રેયસ ઐયર

09 September, 2025 09:12 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

T20 એશિયા કપ 2025માં ભારતીય સ્ક્વૉડમાં સ્થાન ન મેળવી શકનારા શ્રેયસ ઐયરે ભારતના રમતગમત કલ્ચર વિશે મોટી કમેન્ટ કરી છે.

શ્રેયસ ઐયર

T20 એશિયા કપ 2025માં ભારતીય સ્ક્વૉડમાં સ્થાન ન મેળવી શકનારા શ્રેયસ ઐયરે ભારતના રમતગમત કલ્ચર વિશે મોટી કમેન્ટ કરી છે. તેણે કહ્યું કે ‘ભારતની બહારની સ્પોર્ટ્સ ટીમોના પ્લેયર્સ એકબીજાની વ્યક્તિગત સિદ્ધિઓની ખૂબ ઉજવણી કરે છે. તેઓ એકબીજાને ઉચ્ચ સ્તર સુધી લઈ જવામાં મદદ કરે છે અને એથી જ તેઓ બેસ્ટ ટીમ બને છે. ભારતમાં એ થોડું ઓછું છે, કારણ કે ભારતમાં કૉમ્પિટિશન વધારે છે. તેમને ખબર છે કે તમે સારું પ્રદર્શન નહીં કરશો તો તમે રિપ્લેસ થઈ જશો. તમારે ક્યારેય રિપ્લેસ ન થવાના માઇન્ડસેટ સાથે રમવું જરૂરી છે.’

તેણે વધુમાં કહ્યું હતું કે ‘તમે પ્લેઇંગ ઇલેવનમાં રહેવાને લાયક છો છતાં તમને સ્થાન ન મળે તો એ કોઈ પણ પ્લેયર માટે નિરાશાજનક હોય છે, પરંતુ તમારે ટીમને ટેકો આપવો પડશે, કારણ કે અંતે ધ્યેય તો ટીમને જીતતી જોવાનો છે. જ્યારે ટીમ જીતે છે ત્યારે દરેક પ્લેયર ખુશ હોય છે. માત્ર મેદાન પર જ નહીં પણ જ્યારે કોઈ જોઈ રહ્યું ન હોય ત્યારે પણ તમારે તમારું કામ કરતાં રહેવું પડશે, એ જ પ્રામાણિકતા છે.’ શ્રેયસ ઐયરને હાલમાં ઑસ્ટ્રેલિયા A સામેની મલ્ટી-ડે મૅચની સિરીઝ માટે ઇન્ડિયા-A ટીમનો કૅપ્ટન બનાવવામાં આવ્યો છે. 

sports news sports shreyas iyer t20 asia cup 2025 indian cricket team cricket news