13 August, 2019 02:37 PM IST | નવી દિલ્હી
રિષભ પંત
ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં નંબર ચાર પર કયા બૅટ્સમૅનને રમવા માટે ઉતારવો એ પ્રશ્ન લાંબા સમયથી ચર્ચાનો વિષય રહ્યો છે. આ સંદર્ભે ટીમના ભૂતપૂર્વ પ્લેયર સુનીલ ગાવસકરનું કહેવું છે કે ચોથા નંબરે રમવા માટે શ્રેયસ ઐયર બેસ્ટ ચોઇસ છે અને તેને લાંબા સમય માટે પસંદ કરી શકાય છે. વાસ્તવમાં વેસ્ટ ઇન્ડીઝ સામેની બીજી વન-ડે ભારતે ડીએલએસ મેથડ દ્વારા ૫૯ રનથી જીતી લીધી હતી જેમાં શ્રેયસે ૬૮ બૉલમાં ૭૧ રન કર્યા હતા. તેની આ ઇનિંગને જોઈને ગાવસકરનું કહેવું હતું કે ‘રિષભ પંતને ધોનીની જેમ પાંચમા કે છઠ્ઠા નંબરે ઉતારી શકાય છે, કારણ કે ત્યાં તેઓ પોતાની નૅચરલ ગેમ રમી શકશે. જો વિરાટ કોહલી, શિખર ધવન અને રોહિત શર્મા ૪૫-૪૫ ઓવરની બૅટિંગ કરી જાય ત્યારે ચોથા નંબરે પંતને ઉતારી શકાય છે પણ જો ટૉપ પ્લેયર ૩૦-૩૫ ઓવર જ રમી શકે તો શ્રેયસને ચોથા અને પંતને પાંચમા ક્રમાંકે ઉતારવો જોઈએ.’
રવિવારની વેસ્ટ ઇન્ડીઝ સામેની મૅચમાં કૅપ્ટન વિરાટ કોહલીએ ૧૨૦ રનની પારી રમી પ્લેયર ઑફ ધ મૅચનો ખિતાબ જીત્યો હતો. ઐય્યરની વાત કરતાં ગાવસકરે વધુમાં કહ્યું કે ‘આ મૅચમાં મળેલી તક તેણે ઝડપી લીધી. પાંચમા નંબરે આવી તેને ઘણી ઓવર રમવા મળી અને કોહલી સાથે જોડી જમાવી. જોકે સ્કીપર સાથે રમવામાં ફાયદો એ થાય કે મોટા ભાગનું પ્રેશર એ સ્કીપર જ લઈ લે છે અને તમે નૉન-સ્ટ્રાઇક ઍન્ડ પર રમી શકો છો. કોહલી સાથે મળીને શ્રેયસે એ જ કર્યું.’
આ પણ વાંચો : ટીમમાં રહેવું હોય તો સતત સારો પર્ફોર્મન્સ આપવો પડે : ઐયર
છેલ્લી કેટલીક મૅચમાં શ્રેયસના સારા પ્રદર્શનને પગલે ગાવસકરનું માનવું છે કે તે લાંબા સમય સુધી રમવાની ક્ષમતા ધરાવે છે.