16 March, 2020 05:39 PM IST | Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent
જયદેવ ઉનડકટ મંગેતર રિન્ની સાથે
સૌરાષ્ટ્રને પહેલી વાર રણજી ટ્રૉફી અપાવનાર 28 વર્ષના ફાસ્ટ બૉલર જયદેવ ઉનડકટે રવિવારે સગાઇ કરી લીધી છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર પોતાના સગપણની તસવીરો શૅર કરી છે. તસવીરની સાથે સાથે તેણે કૅપ્શનમાં લખ્યું છે કે, "છ કલાક, બે પ્લેટ ભોજન અને પછી એક શૅર કરેલું મડ કેક" આની સાથે જ તેણે એક રિંગ અને દિલની ઇમોજી પણ શૅર કરી છે.
ઉનડકટે કોની સાથે સગાઇ કરી છે તેનો ખુલાસો પોતાના ટ્વીટમાં નથી કર્યો. પણ તેની ટીમના સાથી ખેલાડી ચેતેશ્વર પુજારાએ જયદેવની મંગેતરના નામનો ખુલાસો કર્યો છે. પુજારાએ પોતાના ઑફિશિયલ ટ્વિટર હેન્ડલ પર લખ્યું, "પરિવારમાં તમારું સ્વાગત છે રિન્ની. મને ખૂબ જ ખુશી છે કે મારા ભાઈ જયદેવ ઉનડકટને તેના જીવનનો પ્રેમ મળ્યો."
જયદેવ ઉનડકટની કૅપ્ટનશીપમાં સૌરાષ્ટ્ર પહેલીવાર રણજી ટ્રૉફી પોતાને નામે કરી શક્યું છે. 70 વર્ષમાં સૌરાષ્ટ્ર પહેલીવાર રણજી ટ્રૉફી જીત્યું છે. સૌરાષ્ટ્રના આ વિજયમાં કૅપ્ટન ઉનડકટની ભૂમિકા ખૂબ જ મહત્વની રહી.
ઉનડકટે સીરીઝમાં 13.23ના રેટથી સૌથી વધારે 67 વિકેટ્સ લીધી. આ એક સીરીઝમાં કોઇપણ પ્લેયરનો સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન છે. તેણે કર્ણાટક ડોડા ગણેશ (62,1998-99)નો 21 વર્ષ જૂનો રેકૉર્ડ તોડ્યો. જો કે, ઉનડકટ એક સીરીઝમાં બિહારના આશુતોષ અમન (68, ગયા વર્ષે)નો સર્વાધિક વિકેટ લેનાર સર્વકાલિન રેકૉર્ડ તોડવાની એક વિકેટ પાછળ રહી ગયો.