30 July, 2019 07:50 PM IST | Mumbai
Mumbai : ભારતીય ક્રિકેટ ટીમ અત્યારે વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ માટે નિકળી ગઇ છે. વેસ્ટ ઇન્ડિઝ સામેની સીરિઝ 3 ઓગસ્ટથી શરૂ થઇ રહી છે. ત્યારે આ સીરિઝમાં કોમેન્ટરી કરવા માટેની પેનલનું લિસ્ટ સોની પિક્ચર્સે જાહેર કરી દીધું છે. આ લિસ્ટ બહાર પડતા જ સૌથી મોટો ઝટકો સંજય માંજરેકરને લાગ્યો છે. આ કોમેન્ટરી પેલનની લિસ્ટમાં સુનિલ ગાવસ્કર અને વિવિયન રિચર્ડ્સ જેવા દિગ્ગજોનું નામ છે પરંતુ સંજય માંજરેકરનું નામ ન હતું. ભારતીય ટીમ 3 ઓગસ્ટથી વેસ્ટ ઇન્ડીઝ સામે 3 ટી-20, 3 વન-ડે અને 2 ટેસ્ટ મેચ રમશે.
વર્લ્ડ કપમાં સંજયની કોમેન્ટ્રીની ઘણી ટીકા થઇ હતી
ઉલ્લેખનીય છે કે ICC ક્રિકેટ વર્લ્ડ કપ સમયે સંજય માંજરેકરની કોમેન્ટ્રીની ઘણી ટીકા થઈ હતી. પ્રશંસકોનો આરોપ હતો કે સંજય માંજરેકર જાણી જોઈને ધોનીની વિરુદ્ધ વાતો કરે છે. વર્લ્ડ કપ દરમિયાન માંજરેકરે રવીન્દ્ર જાડેજાને કામચલાઉ ક્રિકેટર બતાવી દીધો હતો. જેના કારણે જાડેજા ગુસ્સે થયો હતો અને ટ્વિટ કરીને માંજરેકરને પોતાની બકવાસ બંધ કરવા કહ્યું હતું. આ પછી જાડેજાએ વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરતા માંજરેકરે માન્યું હતું કે જાડેજાએ તેના હોશ ઉડાવી દીધા છે.
વિવાદના કારણે કોમેન્ટ્રી પેલનમાં સંજય માંજરેકરના નામની બાદબાકી થઇ
આ વિવાદોના કારણે સોની પિક્ચર્સે માંજરેકરનો કોમેન્ટ્રી પેનલમાં સમાવેશ કર્યો ન હોય. જોકે આ અટકળો છે. તમને જણાવી દઈએ કે ભારત અને ઓસ્ટ્રેલિયા શ્રેણી દરમિયાન સંજય માંજરેકર સોનીની કોમેન્ટ્રી ટીમમાં હતા.
આ પણ જુઓ : રવિન્દ્ર જાડેજાઃ 'સર'નો આવો છે રજવાડી અંદાજ
સીરિઝ દરમ્યાન આ દિગ્ગજો કોમેન્ટ્રી કરશે
સોનીની ઇંગ્લિશ કોમેન્ટ્રી ટીમમાં સર વિવિયન રિચર્ડ્સ, સુનીલ ગાવસ્કર, ગ્રીમ સ્વાન, મુરલી કાર્તિક, ડેરેન ગંગા અને ઇયાન બિશપ છે. બીજી તરફ આશિષ નેહરા, અજય જાડેજા, મોહમ્મદ કૈફ અને વિવેક રાજદાન હિન્દીમાં મેચનું વિશ્લેષણ કરશે. ગૌરવ કપૂર અને અર્જુન પંડીત એકસ્ટ્રા ઇનિંગ્સ હિન્દીને હોસ્ટ કરશે.