12 July, 2020 07:09 PM IST | Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent
સચિન તેન્દુલકર
પૂર્વ ભારતીય દિગ્ગજ બૅટ્સમેન સચિન તેંડુલકરે વિશ્વ ક્રિકેટ માટે એક મહત્વની સલાહ આપી છે. સચિન તેંડુલકરની આ સલાહ ખેલાડીઓને પણ ગમશે એવી છે, પણ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એટલે કે આઇસીસી અને મેરિલબોન ક્રિકેટ ક્લબ એટલે કે એમસીસી આ બાબતે વિચાર કરે એ શક્ય લાગતું નથી, કારણકે સચિન તેંડુલકરે એ દલીલ કરી છે કે LBWનો નિર્ણય ફક્ત અને ફક્ત DRSથી થવો જોઇએ.
શનિવારે મહાન બૅટ્સમેન સચિન તેંડુલકરે કહ્યું કે જો ડીઆરએસ (ડિસિઝન રિવ્યૂ સિસ્ટમ) પ્રમાણે બૉલ સ્ટમ્પ પર લાગે છે તો મેદાનના અમ્પાયરના નિર્ણય વિશે ન વિચારવું જોઇએ. તેમણે આગળ કહ્યું કે જો શૂન્ય ટકા બૉલ પણ સ્ટમ્પ પર લાગી રહ્યો છે તો એ અર્થહિન છે. જો ડીઆરએસ બતાવે છે કે બૉલ સ્ટમ્પ પર લાગ્યો છે તો આઉટ આપવું જોઇએ. ત્યારે મેદાનના અમ્પાયરનો નિર્ણય અર્થહિન રહે છે.
સચિન સ્પષ્ટપણે માને છે કે LBWનો નિર્ણય થર્ડ અમ્પાયરનો જ હોવો જોઇએ. હકીકતે, ઘણીવાર જ્યારે કૅપ્ટન કે બૅટ્સમેન ડીઆરએસ માટે કૉલ કરે છે અને અમ્પાયરે કોઇ ખેલાડીને LBW આપી દીધું છે અને ટેક્નોલૉજી દ્વારા જોવામાં આવે છે કે બૉલ સ્ટમ્પને અડીને બહાર થઈને જઇ રહ્યો છે તો અમ્પાયરનો નિર્ણય માન્ય થાય છે, પણ જો અમ્પાયર ખેલાડીને આઉટ ન આપે તો પછી નિર્ણય નૉટ આઉટ હોય છે.
જણાવવાનું કે પોતે ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરે પોતાના કરિઅરમાં અનેક વાર LBWના ખોટાં નિર્ણયોના શિકાર થયા હતા, જો કે, તે સમયે આ પ્રકારની ટેક્નિક નહોતી,પણ હવે જ્યારે બધાં પાસે આ ટેક્નિક છે તો પછી આનો ઉપયોગ થવો જોઇએ. ફક્ત સચિન જ નહીં, પણ તમામ પૂર્વ ક્રિકેટર પણ આ દલીલ આપી ચૂક્યા છે કે LBWના નિયમમાં અમુક ફેરફાર થવા જોઇએ.