01 November, 2019 12:28 PM IST | નવી દિલ્હી
સચિન તેન્ડુલકર
ભારત અને બંગલા દેશ વચ્ચે રમાનારી ડે ઍન્ડ નાઇટ ટેસ્ટ મૅચનાં છેલ્લા કેટલાક દિવસોથી ભારોભાર વખાણ થઈ રહ્યાં છે અને હવે ક્રિકેટના ગૉડ મનાતા સચિન તેન્ડુલકરે પણ આ પગલાને શ્રેષ્ઠ ગણાવીને એનાં વખાણ કર્યાં છે. જોકે આ વખાણ વચ્ચે તેણે વાતાવરણમાં રહેલા ભેજને એકમાત્ર ચિંતાનું કારણ ગણાવ્યું છે.
આ બાબતે પોતાના વિચાર વ્યક્ત કરતાં તેન્ડુલકરે કહ્યું હતું કે ‘દર્શકોને આ પારંપરિક ગેમ તરફ વાળવાનો પ્રયાસ સારો છે. જ્યાં સુધી ધુમ્મસની વાત છે તો એ એવું કારણ એ છે કે એ બન્ને ટીમને હેરાન કરી શકે છે, પણ જો વાતાવરણમાં ભેજ નહીં હોય તો કૉમ્પિટિશન તગડી હશે. મૅચ પહેલાં એ વાતની ગણતરી કરવી સારી રહેશે કે ૨૨ નવેમ્બરની આસપાસ વાતાવરણમાં કેટલો ભેજ હશે, કેમ કે જો એક વાર બૉલ ભીનો થઈ ગયો તો સીમર્સ અને સ્પિર્સ કંઈ નહીં કરી શકે.’
થોડા દિવસ અગાઉ ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રેસિડન્ટ સૌરવ ગાંગુલીએ વિરાટ કોહલીને પિન્ક બૉલ વડે આ મૅચ રમવા મનાવી લીધો હતો અને પછી બંગલા દેશ ક્રિકેટ બોર્ડ પાસેથી પણ સંમતિ મેળવી લીધી હતી. ગાંગુલીના આ પગલાનાં પણ સચિને વખાણ કર્યાં હતાં. જોકે પિન્ક બૉલ વડે બન્ને ટીમ પહેલી વાર ટેસ્ટ મૅચ રમવા જઈ રહી છે એટલે પિન્ક બૉલ કઈ રીતે ટર્ન થાય છે એ બાબતે બન્ને ટીમને માત્ર એ જ પ્લેયરો મદદ કરી શકે છે જેમને ડે ઍન્ડ નાઇટ મૅચ રમવાનો અનુભવ હોય.
ટીમ ઇન્ડિયામાં વૃદ્ધિમાન સહા અનેક ડોમેસ્ટિક મૅચ પિન્ક બૉલ વડે એટલે કે ડે ઍન્ડ નાઇટ મૅચ રમી ચૂક્યો છે અને એ વાતના સંદર્ભે સચિને પણ કહ્યું હતું કે ‘સહાના અનુભવનો ફાયદો ટીમ ઇન્ડિયાને મળી શકશે. જોકે વિકેટકીપર તરીકે તેણે બોલરને જણાવતા રહેવું પડશે કે બૉલ કઈ રીતે આવી રહ્યો છે, એટલું જ નહીં, પ્લેયરોએ પિન્ક બૉલ વડે પ્રૅક્ટિસ કરવી જોઈએ જેથી તેમને ખબર પડે કે ૨૦, ૫૦ અને ૮૦ ઓવર બાદ પિન્ક બૉલ કેવો પર્ફોર્મન્સ આપે છે.’