સૌરાષ્ટ્રની પેસ-ત્રિપુટી સામે બેન્ગોલ બેહાલ

17 February, 2023 12:10 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ઈડનમાં યજમાન ટીમ ૧૭૪ રનમાં આઉટ, સાકરિયા-ઉનડકટની ત્રણ-ત્રણ વિકેટ ઃ જોકે સૌરાષ્ટ્રએ ૮૧માં બે વિકેટ ગુમાવી

જયદેવ ઉનડકટ

કલકત્તાના ઈડન ગાર્ડન્સમાં ગઈ કાલે રણજી ટ્રોફીની પાંચ-દિવસીય ફાઇનલના પ્રારંભિક દિવસે બૅટિંગ મળ્યા બાદ બેન્ગોલની ટીમનો પહેલો દાવ સૌરાષ્ટ્રના પેસ આક્રમણને કારણે માત્ર ૧૭૪ રનમાં સમેટાઈ ગયો હતો અને પછી સૌરાષ્ટ્રએ ૮૧ રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. ચેતન સાકરિયા (૩૩ રનમાં ત્રણ) અને કૅપ્ટન જયદેવ ઉનડકટ (૪૪ રનમાં ત્રણ) બેન્ગોલના બૅટર્સને સૌથી વધુ ભારે પડ્યા હતા. જોકે ત્રીજા પેસ બોલર ચિરાગ જાની (૩૩ રનમાં બે)નું પણ બેન્ગોલને ૨૦૦ રનની અંદર જ સીમિત રખાવવામાં મહત્ત્વનું યોગદાન હતું. લેફ્ટ-આર્મ સ્પિનર ધર્મેન્દ્રસિંહ જાડેજાએ આ રણજી સીઝનમાં સૌરાષ્ટ્ર વતી સૌથી વધુ વિકેટ લીધી છે અને ગઈ કાલે તે પણ બેન્ગોલની ૧૯ રનમાં બે વિકેટ લઈને સફળ બોલર રહ્યો હતો.

બેન્ગોલના ટૉપ-ઑર્ડરના ૬ બૅટર્સમાંથી એકેય જણે ૨૦ રન પણ પાર નહોતા કર્યા, જ્યારે સાતમા નંબરના શાહબાઝ અહમદે ૬૯ રન અને આઠમા ક્રમના અભિષેક પોરેલે ૫૦ રન બનાવ્યા હતા. સાતમી વિકેટ માટે તેમની વચ્ચે ૧૦૧ રનની આબરૂ બચાવતી ભાગીદારી થઈ હતી.

સૌરાષ્ટ્રએ ૩૮મા રને ઓપનર જય ગોહિલની વિકેટ ગુમાવી હતી અને ત્યાર બાદ બીજા ઓપનર-વિકેટકીપર હાર્વિક દેસાઈ (૩૮ નૉટઆઉટ) અને વિશ્વરાજ જાડેજા (૨૫ રન) વચ્ચે ૩૫ રનની પાર્ટનરશિપ થઈ હતી. જોકે સૌરાષ્ટ્રના પેસ બોલર્સની જેમ બેન્ગોલના પેસ બોલર્સે પણ ગઈ કાલે ત્રાટકવાનું શરૂ કરી દીધું હતું. ગોહિલને આકાશદીપે ક્લીન બોલ્ડ કર્યો હતો, જ્યારે વિશ્વરાજ ૧૬મી ઓવરમાં મુકેશ કુમારના બૉલમાં કૅચઆઉટ થયો હતો.

અમારા બોલર સૌરાષ્ટ્રની બાકીની ૮ વિકેટ બીજા ૬૦ રનમાં લઈ લેશે અને અમે ફર્સ્ટ ઇનિંગ્સની લીડ લઈને રહીશું. - મનોજ તિવારી, બેન્ગોલ કૅપ્ટ

sports news sports cricket news test cricket ranji trophy jaydev unadkat saurashtra bengal