કરાચી પીએસએલના પ્લેઑફમાં પહોંચી ગયું, લાહોર થયું આઉટ

21 June, 2021 03:09 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લાહોર જેટલા જ ૧૦ પૉઇન્ટ કરાચીના હતા, પરંતુ સારા રનરેટને કારણે ૨૦૨૦ની ફાઇનલમાં પહોંચનાર લાહોર બહાર થઈ ગયું હતું

દાનિશ અઝીઝ

અબુ ધાબીમાં રમાતી પાકિસ્તાન સુપર લીગ (પીએસએલ)ની છેલ્લી લીગ મૅચમાં ક્વેટા ગ્લૅડિયેટરને ૧૪ રનથી હરાવીને ડિફેન્ડિંગ ચૅમ્પિયન કરાચી કિંગ નામની ટીમે પ્લેઑફમાં પ્રવેશ મેળવી લીધો હતો. લાહોર જેટલા જ ૧૦ પૉઇન્ટ કરાચીના હતા, પરંતુ સારા રનરેટને કારણે ૨૦૨૦ની ફાઇનલમાં પહોંચનાર લાહોર બહાર થઈ ગયું હતું. ક્વેટાની ટીમ ૧૦ પૈકી માત્ર બે જ મૅચ જીતવાને કારણે પૉઇન્ટ-ટેબલમાં સૌથી નીચલા ક્રમે રહ્યું હતું.

દાનિશ અઝીઝે ૧૩ બૉલમાં ફટકારેલા ૪૫ રનને કારણે કરાચીએ ૭ વિકેટે ૧૭૬ રન કર્યા હતા. જવાબમાં ક્વેટાની ટીમ ૭ વિકેટે ૧૬૨ રન જ કરી શકી હતી. ક્વેટાના કૅપ્ટન સરફરાઝ અહમદે ૩૩ બૉલમાં ૫૧ રન કર્યા હતા. ક્વેટાના સ્પિનર અરીશ અલી ખાને ૨૮ રન આપીને ૪ વિકેટ ઝડપી હતી, જેને કારણે એક સમયે કરાચીએ ૧૨૧ રનમાં પાંચ વિકેટ ગુમાવી હતી, પરંતુ અઝીઝની આક્રમક ઇ​નિંગ્સને કારણે કરાચી મૅચ જીતી શક્યું હતું.

sports sports news cricket news