03 December, 2022 11:37 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રમીઝ રાજા
એશિયા કપ ૨૦૨૩ને લઈને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)માં ગભરાટનો માહોલ છે. ભારતીય ક્રિકેટ બોર્ડે પહેલાં જ સ્પષ્ટતા કરી હતી કે ભારત એશિયા કપ રમવા માટે પાકિસ્તાનના પ્રવાસે નહીં જાય. ત્યાર બાદ પીસીબીએ આવતા વર્ષે ભારતમાં રમાનારા વન-ડે વર્લ્ડ કપમાંથી હટી જવાની ધમકી આપી હતી.
ભારતીય ટીમ પાકિસ્તાન નહીં જાય એવા મીડિયા રિપોર્ટ વચ્ચે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે એશિયા કપ ૨૦૨૩ની સીઝનને શિફ્ટ કરવામાં આવી શકે છે. એટલે કે ટુર્નામેન્ટ પાકિસ્તાનને બદલે અન્ય કોઈ દેશમાં કરવામાં આવશે, પરંતુ એને લઈને ફરી એક વાર પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચૅરમૅન રમીઝ રાજાએ ભારતને ધમકી આપી છે. રમીઝ રાજાએ કહ્યું કે ‘ભારતે જો પાકિસ્તાન ન આવવું હોય તો ભલે ન આવે, પરંતુ એશિયા કપ જો કોઈ બીજા દેશમાં રમાડવામાં આવશે તો એ ટુર્નામેન્ટમાંથી પોતાનું નામ પાછું ખેંચી લેશે.’
ઇંગ્લૅન્ડ અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી રાવલપિંડી ટેસ્ટ દરમ્યાન આ વાત કરી હતી. રાજકીય તાણને કારણે ભારત-પાકિસ્તાન વચ્ચે ૨૦૧૨ બાદ કોઈ દ્વિપક્ષીય સિરીઝ નથી રમાઈ.