અમારી વર્લ્ડ કપ ટીમમાં ૭ ‘મૂલ્યવાન’ અને‍ ૭ ‘મજાકિયા’ ખેલાડીઓ હતા: કપિલ દેવ

27 June, 2022 03:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૧૯૮૩ વર્લ્ડ કપના ચૅમ્પિયનોએ ઊજવી ૩૯મી ઍનિવર્સરી : દરેક ખેલાડી હજીયે ફિટ

મુંબઈમાં શનિવારે પચીસ કિલો વજનવાળા વિશિષ્ટ પુસ્તકના લૉન્ચિંગના સમારંભમાં ૧૯૮૩ની વર્લ્ડ ચૅમ્પિયન ટીમના ખેલાડીઓ કપિલ દેવ, મોહિન્દર અમરનાથ, સદ્ગત યશપાલ શર્માનાં પત્ની રેણુ શર્મા, કીર્તિ આઝાદ, રૉજર બિન્ની, સૈયદ કિરમાણી, મદન લાલ, સંદીપ પાટીલ, બલવિન્દરસિંહ સંધુ, ક્રિષ્નામાચારી શ્રીકાંત, સુનીલ વાલ્સન, દિલીપ વેન્ગસરકર તેમ જ ૧૯૮૩ની ટીમના મૅનેજર પી. આર. માનસિંહ તેમ જ અન્ય મહાનુભાવો ઉપસ્થિત હતા. અતુલ કાંબળે


સામાન્ય રીતે બૉલીવુડમાં જેમ ‘શોલે’ ફિલ્મને સર્વોત્તમ ગણાવવામાં આવે છે એમ ભારતીય ક્રિકેટની જ્યારે પણ વાત થતી હોય ત્યારે ૧૯૮૩માં કપિલ દેવની કૅપ્ટન્સીમાં મેળવવામાં આવેલો પ્રુડેન્શિયલ વન-ડે વર્લ્ડ કપનો ઐતિહાસિક વિજય સર્વોપરી ગણાય છે. એટલે જ દર વર્ષે ૨૫ જૂને એ યાદગાર જીતને યાદ કરીને એ સમયકાળના ક્રિકેટપ્રેમીઓ મનોમન ખુશી અનુભવે છે અને યુવાન પેઢીને એ સિદ્ધિથી વાકેફ કરવામાં આવે છે.
શનિવારે પચીસમી જૂને ભારતના એ મહાન ચૅમ્પિયનપદની ૩૯મી ઍનિવર્સરી નિમિત્તે કપિલ દેવ અને તેમના સાથીઓએ મુંબઈના એક સમારંભમાં ૧૯૮૩માં ક્રિકેટનો તાજ જીતતાં પહેલાં અને એ પછીના સમયકાળને આવરી લઈને ઘણી રસપ્રદ, મનોરંજક અને લાગણીસભર વાતો કરી હતી. એ ટીમમાં રવિ શાસ્ત્રી, કીર્તિ આઝાદ અને સંદીપ પાટીલ જેવા ‘મજાકિયા’ સ્વભાવના પ્લેયરો હતા. ખુદ કપિલ દેવે ટીમ વિશે કહ્યું કે ‘અમારી વર્લ્ડ કપની ટીમ ગજબની હતી. અમારી વચ્ચે અદ્ભુત તાલમેલ હતો. એ ટીમને હજી પણ કપિલ ડેવિલ્સ તરીકે ઓળખાવવામાં આવે છે, કારણ કે એમાં છેક ૧૧મા નંબર સુધી બૅટિંગ કરી શકે એવા પ્લેયર્સ હતા, બોલિંગમાં ૭થી ૮ વિકલ્પ હતા અને ઘણા સારા ફીલ્ડરો પણ હતા. ટીમમાં સાત મૂલ્યવાન અને ૭ મજાકિયા સ્વભાવના ખેલાડીઓ હતા. મૂલ્યવાન એટલે ટીમમાં એવા પાકટ અને ધીરગંભીર ખેલાડી હતા જેમની ટીમમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા હતી. જોકે મજાકિયા સ્વભાવવાળા ખેલાડીઓ પણ મૂલ્યવાન પ્લેયર્સ જેટલા જ મહત્ત્વના અને ટીમ માટે ઉપયોગી હતા.’
‘૧૯૮૩ વર્લ્ડ કપ ઓપસ’ ટાઇટલવાળી અને મર્યાદિત સંખ્યામાં પ્રકાશિત કરાયેલી કૉફી ટેબલ બુક શનિવારે મુંબઈમાં લૉન્ચ કરવામાં આવી હતી. ૧૯૮૩ના ૨૫ જૂનના યાદગાર દિવસને ધ્યાનમાં રાખીને બનાવાયેલા ક્રિકેટજગતના આ સૌથી વજનદાર પુસ્તકનું વજન ૨૫ કિલો છે અને એની માત્ર ૧૯૮૩ કૉપી ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. શનિવારે ‘સેલિબ્રેટિંગ ધ લેજન્ડ્સ’ના ટાઇટલ હેઠળ આયોજિત આ સમારોહમાં સદ્ગત યશપાલ શર્માને અંજલિ આપવામાં આવી હતી.

sports news cricket news kapil dev