RCBએ ૨૦૧૯માં વિરાટ કોહલીના સ્થાને પાર્થિવ પટેલને કૅપ્ટન્સી આપવાનું વિચાર્યું હતું : મોઈન અલી

30 July, 2025 02:47 PM IST  |  London | Gujarati Mid-day Correspondent

૨૦૧૯માં વિરાટ કોહલીની કૅપ્ટન્સીમાં રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (RCB) ૧૪માંથી માત્ર પાંચ જીત સાથે પૉઇન્ટ ટેબલમાં ૧૧ પૉઇન્ટ સાથે તળિયે હતું.

મોઈન અલી

ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ ઑલરાઉન્ડર મોઈન અલીએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તે કહે છે, ‘IPL ૨૦૧૯માં બૅન્ગલોર ટીમ મૅનેજમેન્ટ પાર્થિવને કૅપ્ટન બનાવવા માટે તૈયાર હતું. તેની પાસે એક તેજસ્વી ક્રિકેટ મગજ હતું. એ સમયે એ ચર્ચા હતી. મને ખબર નથી કે શું થયું અને શા માટે એવું ન થયું, પરંતુ મને ખાતરી છે કે આ ભૂમિકા માટે તેના નામ પર ગંભીરતાથી વિચાર કરવામાં
આવ્યો હતો.’

૨૦૧૯માં વિરાટ કોહલીની કૅપ્ટન્સીમાં રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (RCB) ૧૪માંથી માત્ર પાંચ જીત સાથે પૉઇન્ટ ટેબલમાં ૧૧ પૉઇન્ટ સાથે તળિયે હતું. એ સીઝનમાં પાર્થિવ પટેલે ઓપનર તરીકે ૧૩૯.૧૮ના સ્ટ્રાઇક-રેટથી ૩૭૩ રન બનાવ્યા હતા. તે ૨૦૨૦માં પણ RCBનો ભાગ હતો, પરંતુ ટીમે ઍરોન ફિન્ચ અને દેવદત્ત પડિક્કલને ઓપનર તરીકે મેદાનમાં ઉતાર્યા. પાર્થિવે એ જ વર્ષે ડિસેમ્બરમાં નિવૃત્તિ લીધી. તે ફરી ક્યારેય IPL રમ્યો નહીં અને કૉમેન્ટેટર-કોચના પદ પર કામ કરવાનું શરૂ કર્યું.

મહાકાલની નગરીમાં પહોંચ્યો ઉમેશ યાદવ

ભારતીય ફાસ્ટ બોલર ઉમેશ યાદવ હાલમાં પોતાની પત્ની તાન્યા યાદવ સાથે મધ્ય પ્રદેશના ઉજ્જૈન પહોંચ્યો હતો. મહાકાલની નગરીમાં તેણે કેટલાંક મંદિરોમાં શીશ નમાવ્યું હતું જેના ફોટો તેણે સોશ્યલ મીડિયા પર શૅર કર્યા હતા. તે બન્નેએ શ્રી મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ મંદિરમાં ભસ્મ આરતીમાં પણ હાજરી આપી હતી.

virat kohli indian premier league Ipl 2019 royal challengers bangalore cricket news sports news sports parthiv patel