02 January, 2021 10:57 AM IST | Melbourne | Agency
સુનીલ ગાવસકર
૧૯૮૧માં રમાયેલી મેલબર્ન ટેસ્ટમાં ભારતના ઓપનર સુનીલ ગાવસકરે પોતાના સાથીપ્લેયર ચેતન ચૌહાણ સાથે મેદાન છોડીને ચાલ્યા ગયા હોવાની ઘટનાને તાજેતરમાં વાગોળી હતી. ગાવસકરે જણાવ્યું હતું કે ઑસ્ટ્રેલિયન પ્લેયર ડેનિસ લિલીએ મને ‘ગેટ લૉસ્ટ’ કહ્યું હોવાથી હું મારા સાથીપ્લેયર સાથે મેદાન છોડીને ચાલ્યો ગયો હતો.
વાસ્તવમાં અમ્પાયર રેક્સ વ્હાઇટહેડે ગાવસકરને એલબીડબ્લ્યુ આઉટ આપ્યો હતો, પણ તે અમ્પાયરના આ નિર્ણયથી ખુશ નહોતો. આ સંદર્ભે ગાવસકરે કહ્યું કે ‘એક ખોટી માન્યતા એવી છે કે હું એલબીડબ્લ્યુના એ નિર્ણયથી ખુશ નહોતો. હા, હું એ નિર્ણયથી નારાજ જરૂર હતો, પણ મેં ચાલતી એટલા માટે પકડી, કારણ કે જ્યારે હું ચેતનની બાજુમાંથી પસાર થયો ત્યારે ઑસ્ટ્રેલિયન પ્લેયરે મને ‘ગેટ લૉસ્ટ’ કહ્યું એટલે મેં ચેતનને પણ મારી સાથે આવવાનું કહ્યું હતું.’
ઉલ્લેખનીય છે કે જ્યારે અમ્પાયરે ગાવસકરને આઉટ આપ્યો ત્યારે તેણે ગુસ્સામાં પોતાના બૅટ વડે પૅડ પર ફટકો માર્યો હતો. આ બન્ને પ્લેયર જ્યારે મેદાન છોડીને જઈ રહ્યા હતા ત્યારે પણ લિલી ઘણી કમેન્ટ કરી રહ્યો હતો. ગાવસકર અને ચેતનને બાઉન્ડરીલાઇન પાસે મૅનેજર દુર્રાની અને અસિસ્ટન્ટ મૅનેજર બાપુ નાડકર્ણી પણ મળ્યા હતા.