ડે-નાઇટ ટેસ્ટ માટે કોહલીએ માત્ર ત્રણ સેકન્ડમાં હા પાડી : ગાંગુલી

03 November, 2019 12:23 PM IST  |  નવી દિલ્હી

ડે-નાઇટ ટેસ્ટ માટે કોહલીએ માત્ર ત્રણ સેકન્ડમાં હા પાડી : ગાંગુલી

સૌરવ ગાંગુલી

ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રેસિડન્ટ બન્યા બાદ સૌરવ ગાંગુલીએ કેટલાં વર્ષોથી અટવાયેલા ડે ઍન્ડ નાઇટ ટેસ્ટ મૅચના સપનાને પૂરું કરવાનો પ્રયાસ આદર્યો હતો અને એમાં સફળ પણ થયો. મજાની વાત એ છે કે ક્રિકેટ બોર્ડના પ્રેસિડન્ટ બન્યા બાદ જ્યારે ગાંગુલીએ કોહલી સામે આ ડે-નાઇટ ટેસ્ટ મૅચનો પ્રસ્તાવ મૂક્યો ત્યારે માત્ર ત્રણ સેકન્ડમાં કોહલીએ હા પાડી દીધી હતી.
એક કાર્યક્રમમાં હાજર રહેલા સૌરવ ગાંગુલીએ આ પ્રસંગની વાત કરતાં કહ્યું હતું કે ‘મને નથી ખબર કે અત્યાર સુધી આ પ્રમાણેની મૅચ કેમ નથી રમાઈ. ૨૪ તારીખે જ્યારે હું વિરાટને મળ્યો ત્યારે મેં તેને સૌથી પહેલો સવાલ કર્યો કે શું આપણને ડે-નાઇટ ટેસ્ટ મૅચ રમવી છે ત્યારે તરત જ ત્રણેક સેકન્ડમાં તેણે હા, આપણે આ કરવું જોઈએ એવો જવાબ આપ્યો હતો.’
આ ઉપરાંત ગાંગુલીએ સ્ટેડિયમમાં પ્રેક્ષકોની સંખ્યા વધારવા વિશેની વાત પણ કરી હતી. ભારત અને બંગલા દેશ વચ્ચે પહેલી ડે-નાઇટ ટેસ્ટ મૅચ બાવીસ નવેમ્બરે કલકત્તાના ઇડન ગાર્ડન્સમાં રમાવાની છે.

sourav ganguly virat kohli