14 July, 2025 08:52 AM IST | London | Gujarati Mid-day Correspondent
લૉર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડના ઑનર્સ બોર્ડ પર ૨૦૨૧ બાદ બીજી વાર નામ લખાયું કે. એલ. રાહુલનું. તેણે મૅરિલબૉન ક્રિકેટ ક્લબ (MCC) મ્યુઝિયમને પોતાની ટેસ્ટ-જર્સી ગિફ્ટ કરી.
ઇંગ્લૅન્ડ સામે ત્રીજી ટેસ્ટ-મૅચમાં સદી ફટકારનાર કે. એલ. રાહુલે મહત્ત્વપૂર્ણ ખુલાસો કર્યો છે. તે કહે છે કે ‘છેલ્લા એક કે બે વર્ષમાં મેં કેટલીક માનસિક કસરતો પર કામ કર્યું છે. મેં એક નિષ્ણાત સાથે થોડો સમય વિતાવ્યો છે જે મને મારા રીઍક્શન ટાઇમને સુધારવામાં મદદ કરી શકે છે. મેં ફૉર્મ્યુલા-વન રેસમાં આ ઘણું જોયું છે. ફૉર્મ્યુલા-વનના ટોચના કોચ અને અન્ય સાહસિક રમતોના લોકો સાથે કામ કરવાથી લાંબા સમય સુધી બૅટિંગ કરવામાં ઘણી મદદ મળી.’
રાહુલ વધુમાં કહે છે, ‘મને ખુશી છે કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં પ્રદર્શન સુધરતું રહ્યું છે. મારી માનસિકતા, મારી ભૂખ કે રમત પ્રત્યેનો મારો જુસ્સો હંમેશાં રહ્યો છે, પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોમાં મને લાગે છે કે પ્રદર્શન પણ દેખાઈ રહ્યું છે.’
તેણે એ પણ ખુલાસો કર્યો કે રિષભ પંત ત્રીજા દિવસની રમતમાં આંગળીની ઇન્જરીને કારણે બરાબર રમી શક્યો નહીં. લંચ પહેલાં રાહુલની સદી પૂરી કરાવવા માટે રિષભ જલદી સ્ટ્રાઇક આપવાના ચક્કરમાં રનઆઉટ થયો હતો.