04 March, 2026 10:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિરાટ કોહલીની ફાઇલ તસવીર
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ડિફેન્ડિંગ ચૅમ્પિયન રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (RCB)એ આગામી સીઝન માટે પોતાની હોમ-મૅચના વેન્યુની પુષ્ટિ કરી છે. બૅન્ગલોરના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં પાંચ મૅચ રમાશે અને છત્તીસગઢના રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ ઇન્ટરનૅશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં બાકીની બે મૅચનું આયોજન થશે.
ગયા વર્ષે નાસભાગને કારણે એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ પાસેથી વન-ડે વર્લ્ડ કપ સહિત રણજી ટ્રોફીની ફાઇનલ મૅચ સુધીની યજમાની છીનવાઈ ગઈ હતી. જોકે IPL સીઝન માટે કર્ણાટક સ્ટેટ ક્રિકેટ અસોસિએશન દ્વારા સમયસર માળખાગત સુવિધાઓમાં સુધારા અને સલામતીનાં પગલાંઓ લેવાને કારણે ડિફેન્ડિંગ ચૅમ્પિયન બૅન્ગલોરની ટીમને પોતાની મોટા ભાગની મૅચ લાંબા સમયથી ચાલી આવતા પોતાના હોમ ગ્રાઉન્ડ પર રમવાની પરવાનગી મળી છે.
રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુની પાંચ હોમ મૅચ સિવાય એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમને અન્ય મૅચોની પણ યજમાની મળશે એવા અહેવાલ છે. અહેવાલો અનુસાર આગામી સીઝનની ઓપનિંગ સેરેમની, પ્લેઑફ મૅચ અને ફાઇનલ પણ બૅન્ગલોરના આ જ સ્ટેડિયમમાં યોજાશે. જોકે RCBએ એના ઑફિશ્યલ નિવેદનમાં આ વાતનો કોઈ ઉલ્લેખ કર્યો નથી.