17 April, 2024 06:21 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
શાહરુખ ખાન (ફાઈલ તસવીર)
IPL 2024 Match 31: KKR vs RR - આઈપીએલ 2024ની 31મી મેચમાં રાજસ્થાન રૉયલ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને બે વિકેટથી હરાવી દીધા. આ જીતની સાથે જ રાજસ્થાનની ટીમ પૉઈન્ટ ટેબલમાં પહેલા નંબરે છે. તેના 12 પૉઈન્ટ્સ થઈ ગયા છે. તો, કોલકાતાની ટીમ આઠ પૉઈન્ટ્સ સાથે બીજા નંબર પર છે. હંમેશની જેમ ઈડન ગાર્ડેન્સમાં કેકેઆરને સપૉર્ટ કરવા માટે ટીમના ઑનર શાહરુખ ખાન પણ પહોંચ્યા હતા. કોલકાતાની ઈનિંગ દરમિયાન શાહરુખ ખૂબ જ ખુશ જોવા મળ્યો હતો. જો કે, ટૂંક સમયમાં જ તેનો આનંદ નિરાશામાં પરિણમ્યો. જોસ બટલરે સેન્ચુરી ફટકારીને કેકેઆરના હાથમાંથી મેચ છીનવી લીધી. મેચ પછી શાહરુખ ખાન કેકેઆરના ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યો અને તેણે ટીમની હિંમત વધારી.
કેકેઆર ટીમના બધા ખેલાડીઓ, સ્ટાફ, કોચિંગ ટીમ અને ટીમના મેન્ટોર ગૌતમ ગંભીરને સંબોધિત કરતા શાહરુખ ખાને કહ્યું કે ટીમ હારવાને બિલકુલ લાયક નહોતી, પણ એવું લાગે છે કે આ ઉપરવાળાની યોજનાનો ભાગ છે. તેમણે કહ્યું કે ખેલાડીઓએ ખરાબ ન લગાડવું જોઈએ અને આગામી મેચ માટે તૈયાર રહેવું જોઈએ. કેકેઆરના ઑફિશિયલ સોશિયલ મીડિયા હેન્ડલ પરથી શૅર કરવામાં આવેલા એક વીડિયોમાં, શાહરુખ ખાને કહ્યું, "આપણાં જીવનમાં એવા દિવસો આવે છે, ખાસ કરીને રમતમાં, જ્યારે આપણે હારને લાયક નથી હોતા, છતાં પણ હારી જઈએ છીએ." (IPL 2024 Match 31: KKR vs RR)
SRKએ કહ્યું- એવા દિવસો આવે છે જ્યારે આપણે જીતવાને લાયક નથી હોતા, પરંતુ કેટલીક વસ્તુઓ એવી હોય છે જે વસ્તુઓને બદલી નાખે છે. મને લાગે છે કે આપણે આજે હારી જવાને લાયક નહોતા. તમે બધા ખૂબ સારી રીતે રમ્યા. આપણને આપણા પર ખૂબ જ ગર્વ થવો જોઈએ. તમે પ્લીઝ ઉદાસ કે નિરાશ ન થાઓ. જ્યારે પણ આપણે ચેન્જિંગ રૂમમાં આવીએ છીએ ત્યારે આપણે જેટલો આનંદ અનુભવીએ છીએ એટલો જ આનંદ આપણને અત્યારે પણ થવો જોઈએ. આપણે શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યા છીએ અને તેને જાળવી રાખવાનું છે.
IPL 2024 Match 31: KKR vs RR - શાહરૂખે કહ્યું- સૌથી મહત્વની વસ્તુ આપણી એનર્જી છે. મને લાગે છે કે આપણે મેદાનમાં સંપૂર્ણ ઉર્જા સાથે રમીએ છીએ. આપણે તમામ પ્રયત્નો કરીએ છીએ અને બધા ખેલાડીઓ એકબીજા સાથે સારી રીતે જોડાયેલા છે. તેથી આ બૉન્ડિંગ જાળવી રાખો. આપ સૌને શુભકામનાઓ. પ્રામાણિકપણે કહું તો, આપણે જે રીતે રમ્યા તે જોવું ખૂબ જ અદ્ભુત હતું. મને લાગે છે કે તમે બધા, હું વ્યક્તિગત નામ નહીં લઈશ, ખૂબ જ સુંદર રમ્યા. જીજી (ગૌતમ ગંભીર) પણ નિરાશ ન થાઓ. આપણે બધા કમબૅક કરીશું. આ મેચ માટે ભગવાનની આ યોજના રહી હશે.
શાહરુખે કહ્યું- જેમ રિંકુ કહે છે, આપણે આ સ્વીકારીને આગળ વધવું જોઈએ. આપણે વધુ સારી યોજનાઓ સાથે પાછા આવીશું. આપ સૌનો આભાર, ભગવાન આપ સૌને આશીર્વાદ આપે.