ધ્યાન ભટકાવવામાં એક્સપર્ટ છે ભારતીય ટીમ : ઑસ્ટ્રેલિયન કૅપ્ટન

14 May, 2021 02:52 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ટિમ પેઇન કહે છે, ટેસ્ટ સિરીઝ દરમ્યાન તેમના સાઇડ શોને લીધે અમારું ધ્યાનભંગ થયું હતું અને અમે હારી ગયા હતા

ટિમ પેઇન

કૅપ્ટન વિરાટ કોહલી સહિત અનેક સિનિયર ખેલાડીઓની ગેરહાજરી છતાં ઘરઆંગણે મળેલી હારને ઑસ્ટ્રેલિયન ટીમ ખાસ કરીને તેમનો કૅપ્ટન ટિમ પેઇન હજી ભૂલી નથી શક્યો. નેટ-બોલરો સાથે રમીને પણ ભારતીય ટીમે ટેસ્ટ સિરીઝ જીતીને ઇતિહાર રચ્યો હતો અને ‘પેઇનને કૅપ્ટન્સીમાંથી હટાવો’ની માગણી થવા માંડી હતી. 

આ વાતને પાંચેક મહિના થવા આવ્યા છતાં પેઇન એ હારનું દર્દ ભૂલ્યો નથી અને કહે છે કે સિરીઝ દરમ્યાન ભારતીય ટીમ ધ્યાન ભટકાવવામાં એક્સપર્ટ છે અને અજિંક્ય રહાણે ઍન્ડ કંપનીના સાઇડ શોને લીધે અમે ભટકી ગયા અને અમારે હાર જોવી પડી હતી.

ચૅપલ ફાઉન્ડેશનના એક કાર્યક્રમ દરમ્યાનની એક ચર્ચામાં તેણે ભારત સામેની હારને યાદ કરતાં કહ્યું હતું કે ‘ભારત સામે રમવાની ચુનૌતી એક એ પણ હોય છે કે તમને પરેશાન કરવામાં અને બિનજરૂરી બાબતો પર તમારું ધ્યાન કેન્દ્રિત કરાવવામાં ખૂબ માહેર છે. એ સિરીઝમાં પણ તેમણે એવું જ કર્યું હતું અને અમે એમાં ફસાઈ ગયા હતાં. ગાબામાં રમવા નથી જવું કહેવું એ તેમનું એક ક્લાસિક ઉદાહરણ હતું. આથી અમે પણ વિચારમાં પડી ગયા કે તો પણ એ ટેસ્ટ ક્યાં રમાશે. એવા સાઇડ શો કરવામાં તેઓ ખૂબ પાવરધા છે અને એના ચક્કરમાં અમારું ધ્યાન રમત પરથી હટી ગયું અને અમે ફસડાઈ પડ્યા હતા.’

ભારત માત્ર ૩૬ રનમાં ઑલઆઉટ
ઑસ્ટ્રેલિયાએ આ સિરીઝમાં પહેલી ટેસ્ટ જીતીને દમદાર શરૂઆત કરી હતી અને એ ટેસ્ટમાં તો ભારતને માત્ર ૩૬ રનમાં ઑલઆઉટ કરી હતી. જોકે એ ટેસ્ટ બાદ કૅપ્ટન વિરાટ કોહલી પિતા બનવાનો હોવાથી ભારત પાછો આવી ગયો હતો અને ટીમની કમાન રહાણેના હાથમાં આવી હતી. રહાણેએ કમાલ કરતાં ભારતે બીજી ટેસ્ટ જીતીને સિરીઝમાં બરોબરી કરી હતી. ત્રીજી ટેસ્ટ ભારતે ડ્રૉ કરાવી હતી, પણ ચોથી અને છેલ્લી બ્રિસ્બેન ટેસ્ટ જીતીને બધાને ચોંકાવી દીધા હતા. ચોંકાવી એટલે કે એ ચોથી ટેસ્ટ માટે ભારત પાસે પ્લેઇંગ ઇલેવન માટે ૧૧ ફિટ ખેલાડીઓનાં પણ ફાંફાં હતાં. 

ઍશિઝ જીતીશ તો કૅપ્ટન્સી છોડી દઇશ, સ્મિથ છે બેસ્ટ
ભારત સામેની હાર બાદ ઑસ્ટ્રેલિયન ટેસ્ટ કૅપ્ટન ટીમ પેઇન પર કૅપ્ટશી છોડવાનું ભારે દબાણ છે. બીજું સ્ટિવન સ્મિથે પણ થોડા સમયલ પહેલા એ ફરી ટીમની સંભાળવા તૈયાર હોવાનું કહેતા ઑસ્ટ્રેલિયનો ફરી તેને કૅપ્ટન બનાવવા ઉતાવળ્યા થયા છે. જોકે આ બાબતે પેઇને કહ્યુ હતું કે આ વર્ષના અંતમાં ઇંગ્લૅન્ડન સામેની ઍશિઝ સિરીઝમાં જો ઑસ્ટ્રેલિયા જીતશે તો એ માનભેર વિદાય લઈ લેશે. પેઇને કહ્યું હતું કે, કમસે કમ આગલી છ ટેસ્ટ સુધી તો હું જ ટીમનો કૅપ્ટન છું. મને લાગશે કે સમય યોગ્ય છે અને જો અમે ઍશિઝમાં ઇંગ્લૅન્ડનો સફાયો કરી દેશું તો મારી કૅપ્ટન તરીકને વિદાય માટે એ બેસ્ટ સમય હશે.’

ફરી સ્મિથને ટીમની કમાન સોપવાની ચર્ચા અંગે તેણે કહ્યું હતું કે, હું સ્મિથની કૅપ્ટશીમાં જેટલું પણ રમ્યો છું એના પરથી કહી શકું તે શાનદાર છે, મેદાન પરની ટૅક્નીકમાં એ ખૂબ પાવરધો છે. એને ફરી ટીમને કમાન સોપી દેવી જોઈએ.’

આઇપીએલ નહી રમાય તો પણ ઑસ્ટ્રેલિયનો કમાશે ૧૩૨ કરોડ
આઇપીએલની ૧૪મી સીઝન કોરોનાને કારણો અટકી ગઈ છે અને ફરી ક્યારે શરૂ કરીને પુરી કરવી એની માથાકુટ ચાલી રહી છે. જો આઇપીએલ ફરી શરૂ ન થાય તો ભારતીય ક્રિકેટ બોર્ડ ૨૫૦૦ કરોડનં નુકસાન થઈ શકે પણ ઑસ્ટ્રેલિયન ખેલાડીઓને જોકે કોઈ નુકસાન નહીં થાય. એનું કારણ છે એમણે કરાવેલું ઇન્સ્યોરન્સ. મોટાભાગના ઑસ્ટ્રેલિયન ખેલાડીઓ મોટી રકમના કોન્ટ્રાક્ટ વાળા જ છે અને ૨૦૧૧ બાદ મોટા ભાગની ફ્રેન્ચાઇઝીઓ અને ખેલાડીઓ આઇપીએલ માટે ઇન્સ્યોરન્સ પોલિસ લેવા લાગ્યા છે. આ પોલિસીમાં ટુર્નામેન્ટ રદ થવાની બાબત પણ આ પૉલિશીમાં આવરી લેવામાં આવતી હોય છે. આથી જો ટુર્નામેન્ટ ફરી શરૂ ન થાય તો તેમને કોઈ નુકસાન નહીં થાય અને ઇન્સ્યોરન્ કંપનીએ તેમને એ પૈસા ચુકવવા પડશે. આૅસ્ટ્રેલિયન ખેલાડીઓની આ રકમ આશરે ૧૮ મિલિયન ડોલર એટલે કે આશરે ૧૩૨ કરોડ રૂપિયા જેટલી થાય છે. 

cricket news sports news sports team india