18 February, 2026 09:34 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શોએબ અખ્તરની ફાઇલ તસવીર
પાકિસ્તાની સરકાર, ક્રિકેટ બોર્ડ, ક્રિકેટર્સ પોતાના નિર્ણય અને નિવેદનમાંથી યુ-ટર્ન લેવા માટે જાણીતાં છે. ગઈ કાલે પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે આ વાતની વધુ એક સાબિતી આપી હતી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના વડા અને પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસિન નકવીનું નામ લીધા વિના તેમને શોએબ અખ્તરે હાલમાં એક ન્યુઝ-ચૅનલ પર આડકતરી રીતે અસમર્થ અને અજ્ઞાની ગણાવ્યા હતા.
જોકે આ નિવેદન વાઇરલ થતાં શોએબ અખ્તરે મોટો યુ-ટર્ન લીધો છે. ન્યુઝ-ચૅનલની ચર્ચામાં તેણે પાકિસ્તાની ક્રિકેટ ટીમની અધોગતિ કેમ થઈ રહી છે એની ચર્ચા દરમ્યાન જ આ શબ્દોનો ઉપયોગ કર્યો હતો.
શોએબ અખ્તરે સ્પષ્ટતા કરી કે ‘મેં જે શબ્દ અસમર્થ અને અજ્ઞાની કહ્યા હતા એ મોહસિન નકવીભાઈ માટે નહોતા. મેં મોહસિન નકવીનો ઉલ્લેખ પણ નહોતો કર્યો. મારો ઇશારો ઇન્ટરનૅશનલ ક્રિકેટ ચલાવતા ટોચના અધિકારીઓ તરફ હતો. ટેલિવિઝન ચૅનલે એને ખોટી રીતે દેખાડ્યું. મોહસિન નકવી એક સારા માણસ છે. તે ખરેખર પાકિસ્તાન ક્રિકેટને મદદ કરવા માગે છે, પરંતુ તેમને હંમેશાં યોગ્ય સલાહ મળતી નથી. હું તેમનાથી ગુસ્સે છું, કારણ કે તેમણે એક નિર્ણય (ભારત સામેની મૅચનો બૉયકૉટ) લીધો હતો, પરંતુ એના પર ટકી રહ્યા નહીં. એ સમયે આખો પાકિસ્તાની સમુદાય તેમની સાથે હતો.’
જો મારે નિર્ણય લેવાનો હોય તો હું બાબર આઝમ, શાહીન આફ્રિદી અને શાદાબ ખાનને પડતા મૂકું. આપણે લાંબા સમયથી જોઈ રહ્યા છીએ કે આ વરિષ્ઠ ખેલાડીઓ મોટી મૅચોમાં પ્રદર્શન કરી રહ્યા નથી. હવે નવા ખેલાડીઓને તક આપવી જોઈએ.
અમે હવે પાકિસ્તાનના પરાજયથી થાકી ગયા છીએ. ખરું કહું તો મને હવે પાકિસ્તાન હારે તો સહેજ પણ દુઃખ નથી થતું, કેમ કે હવે અમે એનાથી ટેવાઈ ગયા છીએ.
પાકિસ્તાન સામે ઈશાન કિશન એક સાચા ધુરંધરની જેમ રમ્યો. બધી નબળી ટીમો વચ્ચે પાકિસ્તાનને હરાવવું ભારત માટે સૌથી સરળ રહ્યું. T20 ક્રિકેટમાં સત્તરમી સદી જેવા અભિગમને કારણે પાકિસ્તાન પહેલાંની જેમ ભારત સામે હાર્યું, ફુલ કંબલ કુટાઈ.