09 March, 2020 04:09 PM IST | Mumbai Desk
હરમનપ્રીત કૌર
ઑસ્ટ્રેલિયાએ ઘરઆંગણે વિમેન્સ ટી૨૦ વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતને ૮૫ રનથી પરાજય આપીને પાંચમી વાર વર્લ્ડ કપનું ટાઇટલ જીતી લીધું છે. જોકે ઇન્ડિયન વિમેન્સ ક્રિકેટ ટીમની કપ્તાન હરમનપ્રીત કૌરે કહ્યું છે કે મોટી ગેમ્સમાં ટીમે કેવી રીતે રમવું એના વિશે વિચારવું પડશે.
આ વિશે વિસ્તારપૂર્વક વાત કરતાં હરમનપ્રીતે કહ્યું કે ‘જે પ્રમાણે અમે લીગ સ્ટેજમાં રમ્યા એ જોઈ અમારો આત્મવિશ્વાસ વધ્યો હતો. એ ખરેખર આઉટસ્ટૅન્ડિંગ હતું. જે કૅચ આજે છૂટ્યા એ અમારી કમનસીબી હતી. જોકે મને મારા પ્લેયરોમાં પૂરેપૂરી શ્રદ્ધા છે. આવતું એક-દોઢ વર્ષ અમારા માટે ઘણું મહત્ત્વનું છે અને અમારું ભવિષ્ય અમારે માટે ઘણું ઇમ્પોર્ટન્ટ છે. શાંત રહીને અમારે કયા એરિયામાં સુધારો કરવો એ વિશે વિચારવું પડશે અને એના પર કામ કરવું પડશે, ખાસ કરીને ફીલ્ડિંગમાં. અમે જાણીએ છીએ કે અમે અમારી ફીલ્ડિંગને કારણે મૅચ નથી જીતી શક્યા અને એ વાતને અમારે ધ્યાનમાં રાખવી પડશે.’
હરમનપ્રીત આ આખી વર્લ્ડ કપ સીઝનમાં નબળું પ્રદર્શન કરી રહી હતી. છેલ્લી મૅચમાં તેણે માત્ર ચાર રન બનાવ્યા હતા. ગેમ વિશે વધારે વાત કરતાં હરમનપ્રીતે કહ્યું કે ‘અમારું ભવિષ્ય ઉજ્જવળ છે. અમારે અમારા પર વિશ્વાસ રાખવાની જરૂર છે અને હાર્ડવર્ક કરતાં રહેવાનું છે. અમારે યોગ્ય દિશામાં આગળ વધી રહ્યાં છીએ અને દર વર્ષે ઇમ્પ્રૂવમેન્ટ કરી રહ્યાં છીએ. અમારે હવે મોટી ગેમમાં અમે વધારે ધ્યાન સાથે કેવી રીતે રમવું એ વિશે વિચારવાની જરૂર છે, કેમ કે મહત્ત્વની ગેમમાં અમે અમારો બેસ્ટ પર્ફોર્મન્સ નથી આપી શકતાં. વિમેન્સ ટી૨૦ ચૅલેન્જ અમારે માટે સારી રહી અને એ અમને ડોમેસ્ટિક ક્રિકેટમાં પણ મદદ કરશે. અમને બે નવા યુવા પ્લેયર પણ મળ્યા. આશા રાખું કે ટીમ માટે પોતાનું યોગદાન આપનાર પ્લેયર મોટી માત્રામાં અમને મળી રહેશે.’