22 August, 2025 06:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હર્ષિત રાણા
એશિયા કપ માટે ભારતની ટીમના સિલેક્શનમાં શ્રેયસ ઐયર અને યશસ્વી જાયસવાલની બાદબાકીની જેટલી જ ચર્ચા હર્ષિત રાણાના સિલેક્શનની થઈ રહી છે. ભૂતપૂર્વ ક્રિકેટરો આકાશ ચોપડા અને કૃષ્ણમાચારી શ્રીકાન્તે હર્ષિતની પસંદગી વિશે આશ્ચર્ચ વ્યક્ત કર્યું છે.
એક યુટ્યુબ ચૅનલના ઇન્ટરવ્યુમાં આકાશ ચોપડાએ આ વિશે જણાવ્યું હતું કે હર્ષિક રાણાનો કેસ ખૂબ જ રસપદ છે. એ વિશે વિચારણા કરવી જરૂરી છે. એક વાર તે ભારતીય ટીમમાં શિવમ દુબેના કન્કશન રિપ્લેસમેન્ટ તરીકે ટીમમાં આવ્યો હતો અને ત્રણ વિકેટ ઝડપીને મૅન ઑફ ધ મૅચ બની ગયો હતો, એ શાનદાર હતું. પણ એ પહેલાં અને ત્યાર બાદનું શું? છેલ્લી IPL સીઝનમાં પણ તેનો પર્ફોર્મન્સ સાવ જ સાધારણ રહ્યો હતો. આથી એનો એવો કોઈ પર્ફોર્મન્સ નથી કે તેને ટીમમાં સામેલ કરી શકાય. મને નથી લાગતું તેને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળી શકશે. કદાચ બુમરાહ કોઈ કારણસર નહીં રમે તો તેના રિપ્લેસમેન્ટ તરીકે તેને રાખ્યો હોય, પણ એવા સંજોગોમાં પણ નથી લાગતું તેનો નંબર લાગી શકે.’
શ્રીકાન્તે પણ શિવમ દુબે અને રિન્કુ સિંહ સાથે હર્ષિતના સિલેક્શન વિશે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું કે ‘આ ટીમ એશિયા કપ જીતી જાય તો પણ આવતા વર્ષે રમાનારા T20 વર્લ્ડ કપ જીતવા માટે દાવેદાર નહીં જ હોય. આ ખેલાડીઓનો IPLમાં ખૂબ સાધારણ પર્ફોર્મન્સ હતો છતાં તેમને કેમ મોકો આપવામાં આવ્યો એ સમજાતું નથી. ઉપરાંત અક્ષર પટેલને વાઇસ કૅપ્ટન તરીકે હટાવવાનો નિર્ણય પણ આશ્ચર્ચજનક છે.’