14 June, 2020 10:03 AM IST | Mumbai Desk | Agencies
ગૌતમ ગંભીર
કોઈ પણ મલ્ટિ લેટરલ ટુર્નામેન્ટમાં ભારત સેમી ફાઇનલ અથવા ફાઇનલમાં જઈને હારી જાય છે એ માટે ગૌતમ ગંભીરને લાગે છે કે ટીમમાં નૉકઆઉટ રાઉન્ડમાં રહેલા ઓછા આત્મવિશ્વાસને કારણે આ સમસ્યા નિર્માણ થાય છે. ધોનીના નેતૃત્વમાં ટીમ છેલ્લે ૨૦૧૭માં ઇંગ્લૅન્ડમાં ચૅમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. ત્યાર બાદ મળેલી બે તકને તેઓ જીતમાં ફેરવી શક્યા નહોતા. આ વિશે ગંભીરે કહ્યું કે ‘સારા પ્લેયર જ્યારે ટીમમાં હોય ત્યારે તમે મહત્ત્વની ગેમમાં એ પ્લેયરને કેવી રીતે રમાડો છો એ મહત્ત્વનું છે. મારા ખ્યાલથી અમે પ્રેશર સહન કરી શકતા નથી, ,જ્યારે બીજી ટીમ પ્રેશર હૅન્ડલ કરી જાણે છે. તમે સેમી ફાઇનલ અને ફાઇનલની મૅચ જોશો તો તમને ખબર પડશે કે ટીમ સેમી ફાઇનલ કે નૉકઆઉટ રાઉન્ડમાં જોઈએ એવો પર્ફોર્મન્સ નથી આપી રહી. કદાચ તેમની માનસિકતાને લીધે આવું થઈ શકે. આપણે હંમેશાં કહેતા હોઈએ છીએ કે આપણને બધું મળી ગયું અને આપણી ક્ષમતા વર્લ્ડ ચૅમ્પિયન બનવાની છે. જોકે ખરા અર્થમાં જ્યારે તમને તક મળે છે ત્યારે ક્રિકેટ પર એને સાબિત કરવું જરૂરી છે અને ત્યારે જઈને તમે વર્લ્ડ ચૅમ્પિયન તરીકે ઓળખાઓ છો. દ્વિપક્ષીય સિરીઝમાં કદાચ તમે ભૂલ કરી શકો, પણ જ્યારે નૉકઆઉટ સ્ટેજ આવે ત્યારે તમે ભૂલ ન કરી શકો.’