02 March, 2021 09:50 AM IST | Londo
અશ્વિન
ભારત-ઇંગ્લૅન્ડ વચ્ચેની ચોથી અને છેલ્લી ટેસ્ટ મૅચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે. આ સિરીઝમાં અત્યાર સુધી ભારતીય ટીમ ૨-૧થી આગળ છે અને સ્વાભાવિક રીતે અંતિમ ટેસ્ટ મૅચ જીતીને પોતાનું સ્થાન વધારે મજબૂત કરવાના પ્રયાસ કરશે, જ્યારે હાથમાંથી વિજેતા બનવાની તક ગુમાવી ચૂકેલું ઇંગ્લૅન્ડ મૅચ જીતીને સિરીઝ ૨-૨થી ડ્રૉ કરાવવાનો મરણિયો પ્રયાસ કરતી જોવા મળશે.
એવામાં ૪ માર્ચથી શરૂ થનારી ચોથી ટેસ્ટ મૅચ પહેલાં ઇંગ્લૅન્ડે છેલ્લો દાવ રમતાં પોતાના નવા બૅટિંગ અને બોલિંગ-કોચની નિમણૂક કરી છે. માર્કસ ટ્રેસ્કોથિકને ટીમના નવા બૅટિંગ-કોચની અને જોન લુઇસ અને ન્યુ ઝીલૅન્ડના જિતેન પટેલને અનુક્રમે બોલિંગ અને સ્પિન બોલિંગ-કોચની જવાબદારી સ્થાયી ધોરણે સોંપવામાં આવી છે.
ટ્રેસ્કોથિકે જોનાથન ટ્રોટની જગ્યા લીધી છે. આ નવી નિમણૂક વિશે જાણકારી આપતાં ઇંગ્લૅન્ડ ઍન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઈસીબી)ના પર્ફોર્મન્સ ડિરેક્ટર મો બોબાટે કહ્યું કે ‘માર્કસ, જોન અને જિતેન ઉચ્ચ સ્તરે પોતાની ક્ષમતાનું પ્રદર્શન કરશે અને ભવિષ્ય માટે પણ તેમનામાં અનેક સંભાવના જોવા મળે છે. ટ્રેસ્કોથિક માર્ચના મધ્ય ગાળાથી પોતાનું પદ સંભાળશે.’