24 June, 2025 07:26 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પૂર્વ ક્રિકેટર દિલીપ દોશી
ભારતીય ક્રિકેટ જગતમાંથી દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ઇંડિયન ક્રિકેટ ટીમના પૂર્વ સ્પિનર દિલીપ દોશીનું સોમવારે નિધન (Dilip Doshi Death) થયું છે. તેઓએ ૭૭ વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર લંડનમાં હ્રદયની સમસ્યાઓને કારણે તેઓનું નિધન થયું છે. પૂર્વ ભારતીય ક્રિકેટરનાં ચાલ્યા જવાથી ક્રિકેટજગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
ભારતના ભૂતપૂર્વ લેફ્ટ-આર્મ સ્પિનર દિલીપ દોશીનું સોમવારે લંડનમાં કાર્ડિયાક અરેસ્ટને કારણે નિધન (Dilip Doshi Death) થયું છે. તેમના પરિવારમાં તેમની પત્ની કાલિંદી, પુત્ર નયન અને પુત્રી વિશાખા છે. તમને એ પણ જણાવી દઈએ કે દિલીપ દોશીએ કિરણ બેદીની નિવૃત્તિ પછી 1979માં ટેસ્ટ ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું અને 1983માં પોતાની 33માંથી છેલ્લી મેચ રમી હતી. તે મેચોમાં તેઓએ કુશળતાથી 114 વિકેટ ઝડપી હતી. તેઓએ સૌનું ધ્યાન વર્ષ 1981માં એમસીજી ખાતે ભારતની ટેસ્ટ જીતમાં પાંચ વિકેટ લઈને ખેંચ્યું હતું.
પૂર્વ ક્રિકેટર દિલીપ દોશીએ 1981માં મેલબોર્નમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ઐતિહાસિક મેચમાં ભારતની જીતમાં પાંચ વિકેટ ઝડપી હતી. ભારતીય પૂર્વ ક્રિકેટર દિલીપ દોશીએ તો પોતાના પગના અંગૂઠામાં ફ્રેક્ચર થયું હોવા છતાં બોલિંગ કરી હતી. ભારત માટે તે મેચ દિલીપ દોશી, કરસન ઘાવરી અને કપિલ દેવે જીતી હતી. તેઓ ઇંગ્લિશ કાઉન્ટી સર્કિટમાં પણ આધારસ્તંભ હતા, જેમણે ત્યાં એક દાયકાથી વધુ સમય સુધી સેવા આપી હતી. તેમણે નોટિંગહામશાયર અને વોરવિકશાયરનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
દિલીપ દોશી (Dilip Doshi Death) ભારતના એકમાત્ર એવા પ્લેયર હતા કે જેમણે 30 વર્ષની ઉંમર પછી ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હોય. વળી તેઓએ ભારત માટે 100થી પણ વધારે વિકેટ ઝડપી હતી.
બીસીસીઆઈના પૂર્વ સચિવ નિરંજન શાહે જણાવ્યું હતું કે - દિલીપ ભાઈને લંડનમાં હાર્ટ એટેક (Dilip Doshi Death) આવ્યો છે. તેઓ હવે આપણી વચ્ચે નથી રહ્યા.
સૌરાષ્ટ્ર સીએના પ્રમુખ જયદેવ શાહે પણ જણાવ્યું હતું કે - દિલીપનું આ રીતે ચાલ્યા જવું એ મારા માટે વ્યક્તિગત ખોટ છે. તેઓ એક પરિવારસભ્ય જેવા હતા. તેઓ શ્રેષ્ઠ વ્યક્તિઓમાંના એક હતા.
સચિન તેંડુલકરે પણ એક્સ પણ પોસ્ટ મૂકીને લખ્યું હતું કે - હું દિલીપભાઈને પહેલીવાર વર્ષ 1990માં યુકેમાં મળ્યો હતો. તેઓ મારા પર અપાર પ્રેમ વરસાવતા હતા. દિલીપભાઈ જેવા ઉષ્માભર્યા આત્માને લોકો ખૂબ યાદ કરશે. હું તે ક્રિકેટની વાતોને યાદ કરીશ જે અમે હંમેશા કરતા હતા. તેમના આત્માને શાંતિ મળે. ઓમ શાંતિ.
ભારતના પૂર્વ કેપ્ટન અનિલ કુંબળેએ પણ દિલીપ દોશીના નિધન (Dilip Doshi Death) પર શોક વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે- "દિલીપ ભાઈના અવસાનના સમાચાર સાંભળીને દિલ તૂટી ગયું. ભગવાન તેમના પરિવાર અને મિત્રોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.