શું શિખર ધવન પત્નીથી અલગ થઈ ગયો?

08 September, 2021 02:46 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પત્ની આયેશા મુખરજીએ સોશ્યલ મીડિયામાંની પોસ્ટમાં બીજી વારના ડિવૉર્સની વેદના શૅર કરતાં શરૂ થઈ ચર્ચા

શું શિખર ધવન પત્નીથી અલગ થઈ ગયો?

ભારતીય ઓપનર શિખર ધવનની પત્ની આયેશા મુખરજીએ સોશ્યલ મીડિયામાં કરેલી પોસ્ટને લીધે ચર્ચા શરૂ થઈ ગઈ છે કે શું તેણે શિખર ધવન સાથે ડિવૉર્સ લઈ લીધા છે? ધવન અને ઑસ્ટ્રેલિયન આયેશાએ ૨૦૧૨માં લગ્ન કર્યાં હતાં. ધવનથી આયેશા ઉંમરમાં ૧૦ વર્ષ મોટી છે એથી લગ્ન વખતે ઘણા લોકોને ધવનનો નિર્ણય ગમ્યો નહોતો. આયેશાએ ધવન સાથે કર્યા એ પહેલાં પણ લગ્ન કર્યાં હતાં અને બે પુત્રીઓ બાદ ડિવૉર્સ લઈ લીધા હતા. ધવન અને આયેશાને પણ એક પુત્ર છે જેનું નામ જોરાવર છે. ગયા વર્ષે બન્ને વચ્ચે કંઈક સમસ્યા હોવાની ચર્ચા જાગી હતી અને આયેશાએ તેના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પરથી ધવનના ફોટો હટાવી નાખ્યા હતા અને ધવનને અનફૉલો કરી નાખ્યો હતો. જોકે ધવને એવું નહોતું કર્યું. જોકે હવે આયેશાએ તલાક વિશે એક ભાવુક પોસ્ટ કરતાં અને એમાં તેણે પોતાને બે વખતની ડિવૉર્સી ગણાવતાં આ ચર્ચા જાગી છે. જોકે ધવને હજી સુધી આ સંદર્ભે કોઈ રીઍક્શન નથી આપ્યું.
આયેશાએ તેની પોસ્ટમાં લખ્યું છે કે પહેલી વાર ડિવૉર્સ થયા ત્યારે હું ખૂબ ડરી ગઈ હતી. મને લાગ્યું હતું હું નિષ્ફળ રહી છું અને એ સમયે ઘણી ભૂલો કરી રહી હતી. મને લાગ્યું મેં બધાને નીચાજોણું કર્યું છે અને માતાપિતાને દુખી કર્યાં છે. મેં ભગવાનનું પણ અપમાન કર્યું હોય એવું મને લાગતું હતું. ડિવૉર્સ એક ખરાબ શબ્દ છે અને વિચારો કે મારી સાથે બીજી વાર એવું થયું છે. આ ભયાનક છે. એક વાર ડિવૉર્સ લીધા બાદ બીજી વાર મને લાગ્યું કે મારું બધું જ દાવ પર છે. મારે ઘણું બધું સાબિત કરવાનું હતું એટલે બીજી વાર મારાં લગ્ન તૂટ્યાં એ બહુ જ ખરાબ હતું. પહેલી વાર જે ભાવનાઓમાંથી પસાર થઈ હતી એ ફરી આવી ગઈ છે. 

sports sports news cricket news shikhar dhawan