18 October, 2021 12:10 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
યુવરાજ સિંહ (ફાઇલ ફોટો)
જાતિગત ટિપ્પણી કરવા મામલે હરિયાણાના હિસાર જિલ્લામાં યુવરાજ સિંહની (Yuvraj Singh Arrested) ધરપકડ બાદ તેને જામીન મળી ગઈ છે. અધિવક્તા રજત કલસને હાંસી થાણા શહેરમાં એસસી એસટી એક્ટ (SC ST Act) હેઠળ FIR નોંધાવ્યા બાદ લાંબો સંઘર્ષ કર્યો. હાઇકૉર્ટના (High Court) આદેશો પર યુવરાજ સિંહને ઔપચારિક જામીન પર છોડવામાં આવ્યો છે.
શું છે આખી ઘટના?
2019માં ક્રિકેટને અલવિદા કહેનારા યુવરાજ સિંહે ઉપર આ આફત પહેલી વાર ગયા વર્ષે આવી હતી. ત્યારે પણ સોશિયલ મીડિયા પર તેનો જબરજસ્ત વિરોધ થયો હતો. ટ્વિટર પર #યુવરાજ_સિંહ_માફી_માગો ટ્રેન્ડ થવા લાગ્યું હતું. હકીકતે, ગયા વર્ષે લૉકડાઉન દરમિયાન યુઝવેન્દ્ર ચહલ ટિકટૉક પર પોતાના ડાન્સ વીડિયોઝ અપલોડ કરતો હતો. આ અંગે ઇન્સ્ટાગ્રામ પર રોહિત શર્મા સાથે વાતચીત કરતી વખતે યુવરાજ સિંહે અભદ્ર ટિપ્પણી કરી હતી. આ કોમેન્ટ જાતિસૂચક હતી.
સોશિયલ મીડિયા પર માગી માફી
ઘટનાને વગોવાતી જોઇ થોડાક દિવસ બાદ યુવરાજે વિશ્વ સામે પોતાની ભૂલ સ્વીકારી હતી. સોશિયલ મીડિયા પર પોસ્ટ લખીને દુઃખ વ્યક્ત કર્યું હતું. માફી માગતા યુવીએ લખ્યું હતું, "હું એ સ્પષ્ટ કરવા માગું છું કે મેં ક્યારેય જાતિ, રંગ, વર્ણ અને લિંગને લઈને કોઈપણ પ્રકારની અસમાનતામાં વિશ્વાસ કર્યો નથી. મેં મારું જીવન લોકોની ભલાઇમાં આપ્યું અને આજે પણ એ ચાલુ છે. હું કોઇપણ પ્રકારના અપવાદ વગર દરેક વ્યક્તિગત જીવનના ગૌરવ અને સન્માનમાં વિશ્વાસ ધરાવું છું."
`મારી વાતનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો`
ટીમ ઇન્ડિયા માટે 304 વનડે, 58 T20 અને 40 ટેસ્ટ રમી ચૂકેલા યુવરાજે આગળ લખ્યું હતું કે, "હું સમજું છું જ્યારે હું મારા મિત્ર સાથે વાત કરી રહ્યો હતો, મારી વાતનો ખોટો અર્થ લેવામાં આવ્યો છે, જે નિરાધાર છે. જો કે, એક જવાબદાર ભારતીય હોવાને નાતે હું એ કહેવા માગું છું કે જો મેં અજાણ્યે જ કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે, તો હું ખેદ વ્યક્ત કરું છું." તેણે આગળ લખ્યું, "ભારત અને અહીંના લોકો માટે મારો પ્રેમ હંમેશાં રહેશે."