29 February, 2020 03:48 PM IST | Christchurch
રવિ શાસ્ત્રી
રવિ શાસ્ત્રીનું કહેવું છે કે પહેલી ટેસ્ટમાં ઇન્ડિયાને મળેલી હારને કારણે તેમના મગજના દરવાજા ખૂલી ગયા છે. ટીમ ઇન્ડિયા બીજી ટેસ્ટ મૅચ પહેલાં પ્રૅક્ટિસ સેશનમાં સખત પરસેવો પાડતી જોવા મળી રહી હતી. આજથી શરૂ થતી બીજી અને છેલ્લી ટેસ્ટ મૅચ જીતી મહેમાન ટીમ સિરીઝ ડ્રૉ કરાવવાનો પ્રયત્ન કરશે. આ વિશે રવિ શાસ્ત્રીએ કહ્યું હતું કે ‘અમને પહેલી ગેમમાં હાર મળી, પણ હું માનું છું કે એ સારી વાત છે કેમ કે એના કારણે અમારા મગજના દરવાજા ખૂલી ગયા છે. તમે જ્યારે સતત ગેમ જીતતા જાઓ છો ત્યારે તમે તમારું મગજ ફિક્સ થઈ જાય છે અને તમે અલગ રીતે વિચારતા બંધ થઈ જાઓ છો. જોકે અચાનક જ્યારે તમને હારનો સ્વાદ ચાખવા મળે છે ત્યારે તમે ફરીથી થયેલી ભૂલો પર કામ કરવાનું શરૂ કરી દો છો અને એથી તમને કશુંક નવું શીખવામાં મદદ મળે છે. ન્યુ ઝીલૅન્ડ શું કરશે એ તમને ખબર છે અને એની ધારણા પણ કરી શકાય છે. કદાચ આ જ વાત પ્લેયરોને તૈયારી કરવામાં મદદગાર બની રહેશે.’
પોતાની વાત અને કોચ તરીકેની પોતાની સ્ટ્રૅટેજી વિશે વાત કરતાં રવી શાસ્ત્રીએ કહ્યું હતું કે ‘તમે જ્યારે કંઈક ખોટું જુઓ છો ત્યારે એના પર કામ કરો છો અને એનું સૉલ્યુશન શોધો છો. હું એવો કોચ નથી જેની પાસે કોઈ સવાલ કરો અને એનો જવાબ મારી પાસે ન હોય. વન-ડે અને ટેસ્ટ બન્ને અલગ બાબત છે અને જે પ્રમાણેના આગામી શેડ્યુઅલ છે એ જોતાં હાલની તારીખમાં વન-ડે અમારી છેલ્લી પ્રાયૉરિટી છે.’