11 December, 2024 09:40 AM IST | Adelaide | Gujarati Mid-day Correspondent
રવિ શાસ્ત્રી
ઍડીલેડ ટેસ્ટમાં ૧૦ વિકેટની હારથી ભારતીય ટીમની બૉર્ડર-ગાવસકર ટ્રોફી (BGT) જીતવાની અને વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC)ના ફાઇનલિસ્ટ બનવાની રાહ મુશ્કેલ બની ગઈ છે. ઑસ્ટ્રેલિયા સામેની આગામી ત્રણેય મૅચ જીતીને રોહિત ઍન્ડ કંપની BGT અને WTCમાં શાનદાર સફળતા મેળવી શકશે.
૧-૧થી બરાબર થયેલી પાંચ મૅચની ટેસ્ટ-સિરીઝ અને સિરાજ-હેડ વિવાદ પર ભૂતપૂર્વ ભારતીય હેડ કોચ રવિ શાસ્ત્રીએ પોતાના કોચિંગના જૂના દિવસો યાદ કર્યા હતા. એક કૉલમમાં તેમણે લખ્યું હતું કે ‘મને વિશ્વાસ છે કે મોહમ્મદ સિરાજ અને ટ્રૅવિસ હેડ આ લડાઈને ઉકેલવા માટે સમજુ વ્યક્તિઓ છે અને ધૂળ થાળે પડી ગઈ છે. હું આશા રાખતો નથી કે કોઈ પણ ફાસ્ટ બોલર છગ્ગો ફટકાર્યા પછી આ રીતે પ્રતિક્રિયા ન આપે. સિરાજ પોતાનો ગુસ્સો કાઢી રહ્યો હતો. આ એક ઝડપી બોલરનો સ્વભાવ છે.’
રવિ શાસ્ત્રીએ આગળ લખ્યું કે ‘જ્યારે હું રમતો હતો ત્યારે મારી ફિલસૂફી હતી કે જે સાંભળવા મળે એ જ સંભળાવવામાં આવે અને જ્યારે હું ઑસ્ટ્રેલિયામાં ભારતને કોચિંગ આપતો હતો ત્યારે પણ હું મારા પ્લેયર્સને આ જ કહેતો હતો. બિલકુલ પીછેહઠ નહીં. એક ડગલું પણ પાછળ ન રહો. આ પછી ટીમની ફિલોસૉફી બની ગઈ અને વિરાટ કોહલીથી લઈને રિષભ પંત અને ટીમના તમામ પ્લેયર્સ ઑસ્ટ્રેલિયાને જવાબ આપવા તૈયાર થઈ ગયા.’