20 September, 2021 06:58 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
બોર્ડ ઑફ કન્ટ્રોલ ફૉર ક્રિકેટ ઈન ઈન્ડિયા (BCCI) ઘરેલૂ ક્રિકેટરો માટે એક સારા સમાચાર આપ્યા છે. સોમવારે બીસીસીઆઈએ જાહેરાત કરી છે કે, કોરોના વાયરસને કારણે વર્ષ ૨૦૨૦-૨૧માં સીઝનમાં ફેરફાર કરતા અસરગ્રસ્ત થયેલા ઘરેલૂ ક્રિકેટરોને ૫૦ ટકા વધારાની મેચ ફી આપવામાં આવશે. એટલું જ નહીં આગામી સીઝનથી મેચ ફીમાં પણ વધારો કરવામાં આવ્યો છે.
કોરોના મહામારીને કારણે પ્રથમ વાર રણજી ટ્રોફીનું આયોજન કરવામાં આવ્યું નહોતું. એટલે ઘણા ભારતીય ક્રિકેટરો આર્થિક રિતે સંઘર્ષ કરી રહ્યાં હતા. આ ખેલાડીઓ બીસીસીઆઈના વળતર પેકેજની લાંબા સમયથી રાહ જોતા હતા.
બીસીસીઆઈના જનરલ સેક્રેટરી જય શાહે ટ્વિટમાં કહ્યું છે કે, ‘વર્ષ ૨૦૧૯-૨૦માં ડૉમેસ્ટિક સીઝનમાં ભાગ લેનાર ખેલાડીઓ વર્ષ ૨૦૨૦-૨૧માં કોરોનાને કારણે સીઝન રમી શક્યા નહોતા. એટલે તેમને વળતર તરીકે ૫૦ ટકા વધારાની મેચ ફી મળશે’.
આ જાહેરાતનો અર્થ છે કે, છેલ્લી સીઝનમાં ભાગ લેનાર અને મુશ્તાક અલી ટી-૨૦, વિજય હજારે ટ્રોફીમાં રમનાર તમામ ખેલાડીઓને રણજી ટ્રોફીની મેચ દીઠ ૭૦,૦૦૦ રુપિયા જે કુલ ફી ૧.૪૦ લાખ રુપિયાના અડધા છે તેટલું વળતર મળશે.