નવેમ્બરમાં દિલ્હીમાં ટેસ્ટ-મૅચ યોજવાના આયોજન પર કેમ ઊઠી રહ્યા છે સવાલ?

05 April, 2025 02:52 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

દિવાળી પછીનો સમયગાળો દિલ્હીમાં હવાની ગુણવત્તાની દૃષ્ટિએ શ્રેષ્ઠ નથી અને ૨૦૧૭માં ડિસેમ્બરની શરૂઆતમાં શ્રીલંકા સામેની ટેસ્ટ-મૅચમાં એની અસર જોવા મળી હતી.

દિલ્હીમાં ૨૦૧૭માં રમાયેલી ભારત-શ્રીલંકા ટેસ્ટ-મૅચમાં ખરાબ હવામાનને કારણે પ્લેયર્સે માસ્ક પહેરવા પડ્યા હતા.

ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)એ હાલમાં ઑક્ટોબરથી ડિસેમ્બર દરમ્યાન વેસ્ટ ઇન્ડીઝ અને સાઉથ આફ્રિકા સામેની હોમ સિરીઝનું શેડ્યુલ જાહેર કર્યું છે. આ શેડ્યુલમાં ૧૪થી ૧૮ નવેમ્બર વચ્ચે સાઉથ આફ્રિકા સામે દિલ્હીમાં ટેસ્ટ-મૅચ રમવાનું પણ આયોજન છે. દિવાળી પછીનો સમયગાળો દિલ્હીમાં હવાની ગુણવત્તાની દૃષ્ટિએ શ્રેષ્ઠ નથી અને ૨૦૧૭માં ડિસેમ્બરની શરૂઆતમાં શ્રીલંકા સામેની ટેસ્ટ-મૅચમાં એની અસર જોવા મળી હતી.

BCCIના સચિવ દેવજિત સૈકિયાએ નવેમ્બરમાં દિલ્હીમાં ટેસ્ટ-મૅચ યોજવાના નિર્ણયનો બચાવ કરતાં કહ્યું હતું કે ‘અમે બધાં પરિબળો પર વિચાર કર્યો છે અને બધા સાથે ચર્ચા કર્યા પછી રોટેટિંગ પૉલિસી અપનાવી છે. પ્રદૂષણની સમસ્યાઓ દર વર્ષે થતી નથી.’

અરુણ જેટલી સ્ટેડિયમનું સંચાલન કરતા દિલ્હી ઍન્ડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ અસોસિએશને પણ સ્પષ્ટતા કરી છે કે ‘ટેસ્ટ-મૅચ રમતી વખતે પ્લેયર્સને આરામદાયક લાગે એ માટે શક્ય તમામ પગલાં લેવામાં આવશે. સ્ટેડિયમ પ્રમાણમાં ખુલ્લા વિસ્તારમાં આવેલું છે જ્યાં આસપાસ વધુ હરિયાળી છે. તેથી હવાની ગુણવત્તા અન્ય વિસ્તારો કરતાં સારી છે. દિલ્હીને ઘણા સમયથી ટેસ્ટ-મૅચ ફાળવવામાં આવી નહોતી. BCCIએ અમને મૅચ ફાળવી છે એટલે અમારે કૅલેન્ડર મુજબ જ જવું પડશે. નવેમ્બર મહિનામાં ડિસેમ્બર કરતાં પ્રદૂષણ ઓછું હોય છે.’  

board of control for cricket in india south africa india new delhi test cricket air pollution diwali cricket news sports news sports