ખેલાડીઓની ઇન્જરી માટે આઇપીએલ છે જવાબદાર

14 January, 2021 11:48 AM IST  |  Brisbane | Agencies

ખેલાડીઓની ઇન્જરી માટે આઇપીએલ છે જવાબદાર

ઑસ્ટ્રેલિયન કોચ લૅન્ગરનો આરોપ...

હાલમાં ચાલી રહેલી ઑસ્ટ્રેલિયા સામેની સિરીઝ ખેલાડીઓના પર્ફોર્મન્સ કરતાં ઇન્જરી માટે વધુ ચર્ચામાં રહી છે અને દરેક મૅચ બાદ લગબગ એકાદ-બે ખેલાડીઓ મૅચ કે સિરીઝમાંથી બહાર થઈ રહ્યા છે. આવું ભાગ્યે જ જોવા મળતું હોય છે. આવી સ્થિતિ માટે ઑસ્ટ્રેલિયન કોચ જસ્ટિન લૅન્ગર આઇપીએલની ૧૩મી સીઝનને જવાબદાર ગણાવી રહ્યા છે અને તેમનું કહેવું છે કે આઇપીએલના તેઓ ચાહક છે, પણ આ છેલ્લી સીઝનને છ મહિનાના લૉકડાઉન બાદ અને ઑસ્ટ્રેલિયા સામેની આ મહત્ત્વપૂર્ણ અને લાંબી સિરીઝ પહેલાં યોજવાનો નિર્ણય યોગ્ય નહોતો.
પોસ્ટપોન્ડ થઈ હતી આઇપીએલ
આઇપીએલની ૧૩મી સીઝન હરહંમેશ મુજબ માર્ચ-એપ્રિલમાં યોજવાની હતી, પણ કોરોના કેર બાદ લૉકડાઉનને લીધે પોસ્ટપોન્ડ કરવામાં આવી હતી. ત્યાર બાદ ઑસ્ટ્રેલિયામાં યોજાનારો ટી૨૦ વર્લ્ડ કપ રદ થતાં ભારતીય ક્રિકેટ બોર્ડે એ તકનો લાભ લઈને આઇપીએલની ૧૩મી સીઝનને દેશની બહાર યુએઈમાં ૧૯ સપ્ટેમ્બરથી ૧૦ નવેમ્બર દરમ્યાન યોજી હતી. ૫૩ દિવસના નૉનસ્ટૉપ ઘમાસાન બાદ ભારતીય ટીમ અને ઑસ્ટ્રેલિયન ટીમના ખેલાડીઓ દુબઈથી સીધા ઑસ્ટ્રેલિયા પહોંચી ગયા હતા. ત્રણ વન-ડે, ત્રણ ટી૨૦ અને ચાર ટેસ્ટની આ લાંબી સિરીઝની આવતી કાલે છેલ્લી ટેસ્ટ શરૂ થઈ રહી છે.
આમ લગભગ સપ્ટેમ્બરથી ખેલાડીઓ બાયો-સિક્યૉર બબલ્સની ટફ લાઇફમાં સતત રમી રહ્યા છે. આઇપીએલ શરૂ થઈ ત્યારથી ઑસ્ટ્રેલિયાના એકાદ-બે અને ભારતના મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, રવીન્દ્ર જાડેજા, લોકેશ રાહુલ, હનુમા વિહારી વગેરે સહિત નવથી દસ ખેલાડીઓ ઇન્જર્ડ થયા છે. હવે તો પરિસ્થિતિ એવી છે કે આવતી કાલે છેલ્લી ટેસ્ટ માટે ઑસ્ટ્રેલિયાનો સામનો કરી શકે એવું ફિટ પ્લેઇંગ ઇલેવન માટે ફાંફાં પડી રહ્યાં છે અને નેટ બોલર ટી. નટરાજન અને વૉશિગ્ટન સુંદરને સ્ક્વોડમાં સામેલ કરવા પડ્યા છે. ભારતે આ સિરીઝ પહેલાં જ આઇપીએલ દરમ્યાન ઇન્જરીને લીધે ઇશાંત શર્મા, ભુવનેશ્વર કુમાર અને વરુણ ચક્રવર્તીને ગુમાવી દીધા હતા. રોહિત શર્મા પણ વન-ડે અને ટી૨૦ સિરીઝ તથા પ્રથમ બે ટેસ્ટમાં નહોતો રમી શક્યો અને છેલ્લી બે ટેસ્ટ માટે માંડ-માંડ ઑસ્ટ્રેલિયા પહોંચી શક્યો હતો.
૧૩મી સીઝનનો સમય યોગ્ય નહોતો
એક વર્ચ્યુઅલ કૉન્ફરન્સ દરમ્યાન લૅન્ગરે આ સિરીઝમાં આટલી બધી ઇન્જરી માટે આઇપીએલને જવાબદાર ગણાવી હતી અને કહ્યું કે ‘આ ખરેખર નવાઈ ભર્યું છે કે આ સમર સીઝનમાં આટલી બધી ઇન્જરી થતા જોઈ રહ્યા છીએ. અમે આમાં કશું નથી કરી શકતા, પણ મને લાગે છે કે આ વર્ષે આઇપીએલના આયોજનનો સમય કોઈ પણ માટે યોગ્ય નહોતો. ખાસ કરીને જ્યારે ટીમે એના બાદ તરત જ એક મોટી સિરીઝ રમવાની હોય.
આઇપીએલનો ચાહક છું
લૅન્ગરે વધુમાં કહ્યું હતું કે ‘મને આઇપીએલ પસંદ છે. પહેલાં યુવા ખેલાડીઓના ટૅલન્ટને પારખવા કાઉન્ટી ક્રિકેટ જોતા હતા, પણ હવે આઇપીએલ જોઉં છું. ખેલાડીઓ તેમની ક્રિકેટ ટૅલન્ટને નિખારવા કાઉન્ટી ક્રિકેટમાં રમવા જાય છે. હવે એ જ કામ આઇપીએલ કરી રહ્યું છે. ખાસ કરીને તેમના વાઇટ-બૉલ ક્રિકેટના ડેલવપમેન્ટ માટે. પણ આ વખતે એના આયોજનનો સમય યોગ્ય નહોતો. કોવિડ-૧૯ને લીધે દુનિયાભરમાં શું થઈ રહ્યું હતું જે જોયા બાદ તો જરાય યોગ્ય સમય નહોતો. મને લાગે છે એનું પરિણામ એ છે કે બન્ને ટીમોના ખેલાડીઓ ઇન્જર્ડ થઈ રહ્યા છે. મને ખાતરી છે કે તેઓ આ અંગે વિચારણા કરશે.’
જાડેજા-બુમરાહની ગેરહાજરી વર્તાશે
બુમરાહ અને જાડેજાની ગેરહાજરીથી ભારતીય ટીમને અસર થશે એવા પ્રશ્નના જવાબમાં લૅન્ગરે કહ્યું હતું કે ‘આશા રાખું છું કે આની અસર થાય, પણ મેં પહેલાં જ કહ્યું હતું કે આ સીઝનમાં તો જે ફિટ છે એ જ હિટ છે. સિરીઝની શરૂઆતમાં પણ વિરાટની ગેરહાજરી વિશે મેં કહ્યું હતું કે એની અસર થશે. બેસ્ટ ખેલાડી અમારી ટીમમાંથી કે તેમની ટીમમાંથી નીકળી જાય તો એની અસર તો થવાની જ છે. ટેસ્ટ ક્રિકેટ માટે હું હંમેશાં કહેતો આવ્યો છું કે જે વધુ ફિટ હશે એ જ બાઝી મારશે. અમે ભારતીય ટીમમાં શું થઈ રહ્યું છે એને બદલે સિરીઝ જીતવા માટે અમે બેસ્ટ શું કરી શકીએ એના પર જ ધ્યાન આપી રહ્યા છીએ.’

પેઇન અદ્ભુત લીડર છે

ત્રીજી ટેસ્ટમાં ખરાબ કીપિંગ અને ખેલભાવના વિરુદ્ધની કૅપ્ટન્સીને લીધે ટીકાપાત્ર બનેલા ઑસ્ટ્રેલિયન કૅપ્ટન ટિમ પેઇનને કોચ લૅન્ગરે સપોર્ટ જાહેર કર્યો હતો અને તેને આદર્શ લીડર ગણાવ્યો હતો. લૅન્ગર કહે છે કે ‘ત્રીજી ટેસ્ટનો પાંચમો દિવસ પેઇન માટે ખરાબ રહ્યો હતો અને તે થોડો સુસ્ત લાગી રહ્યો હતો, પણ અમને પેઇન પર કેટલો ભરોસો છે એનો તમને કદાચ અંદાજ પણ નહીં હોય. આ ત્રણ વર્ષ દરમ્યાન તે તેના પર્ફોર્મન્સ દ્વારા એક અદ્ભૂુત કૅપ્ટન તરીકે ઊભરી આવ્યો છે. અમે જાણીએ છીએ કે પેઇને તેના પર્ફોર્મન્સ દ્વારા હાઈ સ્ટાન્ડર્ડ સેટ કર્યા છે અને હવે તમારો દિવસ ખરાબ હોય અને તમે સેટ કરેલા સ્ટાન્ડર્ડ પ્રમાણે પર્ફોર્મ ન કરી શકો તો તમારી ટીકા થવાની જ છે. કોઈ જ શંકા નથી કે તે એક આદર્શ કૅપ્ટન છે અને હજી થોડાં વર્ષો સુધી તે જળવાઈ રહેશે. ત્રણેક વર્ષ બાદ તે ઑસ્ટ્રેલિયાના લેજન્ડ કૅપ્ટનોમાં સામેલ થઈ જશે. અમારો તેને સંપૂર્ણ ટેકો છે. પેઇને મંગળવારે સિડની ટેસ્ટમા રવીચન્દ્રન અશ્વિન સાથેની વર્તણૂક બદલ જાહેરમાં માફી માગી હતી. લૅન્ગરે આ બદલ પેઇનનાં વખાણ કર્યાં હતાં અને કહ્યું હતું કે આમ જાહેરમાં માફી માગવી આસાન નથી. આ માટે હિંમત જોઈએ.

australia test cricket cricket news